Baroda

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ પૂરો, નરસિંહપુરાનો યુવાન હજી લાપતા, નોકરીએ જતો યુવક નદીમાં ખાબક્યો હતો

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ગુરુવારે 1 વર્ષ પૂર્ણ થશે. 9 જુલાઈ 2025ના રોજ મહી નદી પરનો બ્રિજ તૂટતા 22 નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. આ દુર્ઘટનામાં નરસિંહપુરાના વિક્રમ પઢિયારનો હજી પત્તો નથી, જેથી પરિવાર ડેથ સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યો છે. તંત્ર દ્વારા નવા બ્રિજનું 90% કામ પૂર્ણ થયાનો દાવો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ પૂરો, નરસિંહપુરાનો યુવાન હજી લાપતા, નોકરીએ જતો યુવક નદીમાં ખાબક્યો હતો

Vadodara News : વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યાની ઘટનાની આવતીકાલે ગુરુવારે પ્રથમ વરસી છે. આ કમનસીબ ઘટનામાં બ્રિજ પરથી નદીના પાણીમાં ખાબકેલા પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના યુવાનનો હજી સુધી પત્તો નહીં મળતા હવે પરિવારજનો તેનું ડેથ સર્ટિફિકેટ મળે તેની રાહ જોઈ રહ્યા છે.

નોકરીએ જતા હતા અને કાળ આંબી ગયો

વિક્રમ પઢિયાર અને પિતરાઈ રાજેશ ચાવડા બંને રાત્રે મિત્રની બર્થ ડે મનાવી સવારે સાથે કંપનીમાં જતા હતાં. ઉલ્લેખનીય છે કે વર્ષ-2025માં જુલાઈ માસની 9મી તારીખની સવાર વડોદરા જિલ્લા માટે હંમેશા યાદ રહી જાય તેવી છે. પાદરા તાલુકાના ગામો તેમજ આણંદ જિલ્લાના ગામોને જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતા સવારે નોકરી પર જતા તો કોઈ કામ ધંધા પર જતા વાહનો એક પછી એક નદીમાં ખાબક્યા હતાં અને આ કમનસીબ ઘટનામાં 22 નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. ખખડધજ બ્રિજ હોવા છતાં તેને ભારેધારી વાહનો માટે બંધ ના કરાયો અને મોટી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું.

એક વર્ષ છતા પુત્રના મૃતદેહ માટે વલખી રહ્યો છે પરિવાર

ગંભીરા બ્રિજની આ ઘટનામાં 22 વ્યક્તિના મૃતદેહો મળ્યા હતા પરંતુ પાદરા તાલુકાના નરસિંહપુરા ગામના યુવાનની લાશ એક વર્ષ થવા છતાં મળી નથી. બ્રિજ દુર્ઘટનામાં હજી સુધી લાપત્તા વિક્રમ પઢિયારના પિતાએ જૂની ઘટનાને યાદ કરતા જણાવ્યું હતું કે તે દિવસ કદી વિસરાય તેમ નથી. મારો દીકરો વિક્રમ અને તેના મામાનો દીકરો રાજેશ ઈશ્વરભાઈ ચાવડા (રહે.દેવાપુરા, જીલ્લો આણંદ) બંને બાઈક પર જતા હતા ત્યારે આ ઘટના બની હતી. જેમાં બંનેના જીવ ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે વિક્રમ અને રાજેશ બંને એક જ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતાં. ઘટનાના આગલા દિવસે રાત્રે નોકરી પરથી બંને ભાઈઓ એક મિત્રની બર્થ ડે ઉજવવા ગયા હતા અને રાત્રે નવ વાગ્યે તેઓ ઘેર આવ્યા હતાં. રાત્રિ થઈ ગઈ હોવાથી રાજેશ ચાવડા પોતાના ઘેર જવાના બદલે અમારા ઘેર જ રોકાઈ ગયો હતો અને સવારે વિક્રમ તેમજ રાજેશ બંને બાઈક પર નોકરી જવા નીકળ્યા હતાં. તેમણે કહ્યું હતું કે મારે સંતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ હતાં. જેમાં વિક્રમ સૌથી નાનો પુત્ર હતો. વિક્રમને માત્ર નવ માસની પુત્રી છે.

મહી નદી પર નવા બ્રિજનું 90 ટકા કામ પૂરું થયું હોવાનો તંત્રનો દાવો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર પાસે મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો તેના થોડા દિવસો પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા નવો બ્રિજ બનાવવા માટે રૂા. 212 કરોડ મંજૂર કર્યા હતાં. જો કે કામ ખૂબ ધીમું ચાલતું હતું પરંતુ બ્રિજ તૂટી પડ્યા બાદ વડોદરા અને આણંદ જિલ્લાનો સંપર્ક આ માર્ગે તૂટી પડતા નવો બ્રિજ બનાવવા માટે તાબડતોબ મંજૂરીઓ મળવા લાગી હતી. મહી નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ મંગલમ બિલ્ડકોન નામની એજન્સી કરી રહી છે. તા.13 ઓગસ્ટ સુધીમાં બ્રિજનું કામ પૂરું કરવાનો વર્ક ઓર્ડર અપાયો છે પરંતુ તે પહેલાં બ્રિજ પરથી વાહનો શરૂ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.