12 લાખ રુદ્રાક્ષથી શણગારાયું કેદારનાથ ધામ : સ્વર્ગસ્થ યોગેશ પટેલની અંતિમ ઈચ્છા પૂર્ણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Late Yogesh Patel's Last Wish : વડોદરાના સત્યમ શિવમ સુન્દરમ સમિતિના સ્થાપક અને ગુજરાતના ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલે કેદારનાથ ધામને રુદ્રાક્ષની અસંખ્ય માળાઓથી શણગારવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પ પૂર્ણ થાય તે પહેલાં જ યોગેશ પટેલનું અવસાન થતાં તેમના પરિવાર અને સત્યમ શિવમ સુન્દરમ સમિતિ દ્વારા સંકલ્પને પૂર્ણ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો.
સત્યમ શિવમ સુંદરમ સમિતિના મુકેશ દીક્ષિતે જણાવ્યું હતું કે, કેદારનાથ ધામને શણગારવા માટે ખાસ નેપાળથી 12 લાખ રુદ્રાક્ષ વડોદરા લાવવામાં આવ્યા હતા. વડોદરાના જાગનાથ મંદિરમાં બે મહિના સુધી રુદ્રાક્ષની માળા તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીમાં વડોદરાના અનેક લોકો સહભાગી બન્યા હતા અને રુદ્રાક્ષની માળા તૈયાર કરવામાં યોગદાન આપ્યું હતું.
સ્વ.યોગેશ પટેલના અધૂરા સંકલ્પને પૂર્ણ કરવા તેમના પત્ની સરોજબેન પટેલ, પુત્ર રાકેશ પટેલ અને બંને દીકરીઓ સાથે સત્યમ શિવમ સુન્દરમ સમિતિએ નિશ્ચય કર્યો હતો. પરિવાર અને સમિતિના પ્રયાસોથી રુદ્રાક્ષની માળા તૈયાર કરવામાં આવી હતી.
શ્રાવણ મહિનામાં આ સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે રુદ્રાક્ષથી કેદારનાથ ધામના મંદિરને શણગારવામાં આવ્યું હતું. સ્વ.યોગેશ પટેલે લીધેલો સંકલ્પ પૂર્ણ થતાં પરિવાર દ્વારા તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું.
કેદારનાથ ધામ પરિસરને રુદ્રાક્ષથી શણગારવાના આ કાર્યમાં સહભાગી બનેલા વડોદરાના લોકો તથા સંસ્થા સાથે જોડાયેલા તમામ કાર્યકરોનો પરિવાર અને સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




