જીવિત વ્યક્તિનું નામકરણ નહીં કરવાના નિર્ણયનો ભંગ કરી RSSના અગ્રણીના નામનો છેદ ઉડાવી દેવા શિક્ષણ સમિતિનો પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની અટલાદરા સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જીનું નામકરણ છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ દ્વારા શિક્ષણ સમિતિના નિર્ણયને અભરાઈ પર ચડાવી દઈ શાળા સંકુલનું નવું નામ જીવતા હોય એવા સંત મહંત સ્વામીનું નામ આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓ પહેલા નંબર આપવામાં આવ્યા હતા અને તમામ શાળાઓ નંબરથી ઓળખાતી હતી ત્યારબાદ ભાજપ સત્તા પર આવ્યું તેના દ્વારા શિક્ષણ સમિતિની તમામ શાળાનું નામકરણ કરવામાં આવ્યું તેમાં ખાસ કરીને જાણીતા લેખકો હોય કે પૂર્વ રાષ્ટ્રપતિ, આઝાદીની લડતમાં ભાગ લીધો હોય તેમજ સંત વ્યક્તિઓ જેઓ એ સમાજને ઘણું યોગદાન આપ્યું હોય તેવા નામાંકિત વ્યક્તિઓના નામ સાથે શાળાનું નામ જોડવામાં આવ્યા હતા.
ત્યારબાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે હાલના ધારાસભ્ય કેયુર રોકડિયા હતા ત્યારે કેટલાક જાણીતા હોય સમાજમાં યોગદાન આપ્યું હોય પરંતુ તેઓ હયાત જીવતા હોય તેવા વ્યક્તિનું નામ શાળા સાથે જોડવાનું નક્કી કરવામાં આવી રહ્યું હતું ત્યારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈપણ જીવિત વ્યક્તિ હોય તેવા વ્યક્તિનું નામ શાળા સાથે જોડવું નહીં. તેમ છતાં તાજેતરમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ દ્વારા અચાનક શિક્ષણ સમિતિની તેમની મુદત પૂરી થવાની હતી તે પૂર્વે તાત્કાલિક સામાન્ય સભા બોલાવી તેમાં અગાઉ જે નિર્ણય કર્યો હતો તેનો ભંગ કરવામાં આવ્યો હતો.
શાળાની નામકરણ કરવાની જ્યારે કામગીરી થઈ હતી ત્યારે અટલાદરા વિસ્તારમાં આવેલી શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનું નામ આર.એસ.એસ.ના અગ્રણી શ્યામાપ્રસાદ મુખર્જીની સાથે જોડીને નામકરણ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં શિક્ષણ સમિતિની છેલ્લી બેઠક બોલાવવામાં આવી તેમાં આ શાળાનું નામ શામાપ્રસાદ મુખર્જી બદલીને સંત મહંત સ્વામીનું નામ રજૂ કરવામાં આવ્યું હતું અને આરએસએસના અગ્રણીનું નામનો છેદ ઉડાવી દેવાનું નક્કી કરવા અધ્યક્ષ દ્વારા સભ્યો પર દબાણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક સભ્યોએ વિરોધ કરતા શાળાનું નામ શ્યામાપ્રસાદ મુખર્જી યથાવત રાખવામાં આવ્યું અને શાળાના કેમ્પસ અર્થાત શાળાના સંકુલનું નામ સંત મહંત સ્વામીનું નામ કરણ કરી દેવામાં આવ્યું હતું અને તાત્કાલિક કાર્યક્રમ યોજી શાળાનું નામ યથાવત રાખ્યું અને શાળા સંકુલનું નામ અલગથી આપવામાં આવ્યું ત્યારે સામાન્ય સભા બોલાવતા અગાઉ જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક યોજી અને શાળાનું નામ બદલવાનું નક્કી થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે. શાળાનું નામ બદલવાનો વિરોધ થતાં શાળા સંકુલ તરીકે અટલાદરા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત મહંત સ્વામી શૈક્ષણિક સંકુલ તે રીતે નામ આપવામાં આવ્યું હતું ત્યારે અગાઉ હયાત જીવિત વ્યક્તિનું નામકરણ કરવું નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો તે અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં સ્વામી નારાયણ સંપ્રદાયના સંત એવા વ્યક્તિનું નામ અન્ય નવી શાળા બંધાય કે પછી અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલતી હોય તે આગવી ઓળખ રાખી નામકરણ કરવાને બદલે આરએસએસના અગ્રણીનું જે શાળા સાથે નામ જોડવામાં આવ્યું છે તે શાળાના શૈક્ષણિક સંકુલની સાથે સંત વ્યક્તિનું નામ જોડીને તેમના નામ માટે પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી તેમ ચર્ચાઈ રહ્યું છે.









