ધન - 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર
Sagittarius Rashifal 2026 : ક્રાંતિવૃત 240થી 260 ડિગ્રી સુધીમાં ધન રાશીનો સમાવેશ થાય છે. ધન એ અગ્નિ તત્ત્વની દ્વિસ્વભાવની રાશિ છે. રાશિ સ્વામી ગુરુ છે. નક્ષત્ર સ્વામી કેતુ, શુક્ર, સૂર્ય થાય છે. ધન રાશિનું ચિહ્ન એટલે તીર હાથમાં ધારણ કરેલો અર્ધ પુરુષ-અર્ધ અશ્વ છે. દ્વિસ્વભાવ હોવાથી આ લગ્નના જાતકોમાં બેવડું વ્યક્તિત્વ જોવા મળે છે. અધિપતિ ગ્રહ ગુરુ હોવાથી આ જાતક અઘ્યાત્મ તરફ ખેંચાય છે. આ રાશિ અગ્નિ તત્ત્વ હોવાથી આ જાતકોમાં ગુસ્સો પણ વધારે હોય. ક્રોધની ક્ષણોમાં વાણી પર સંયમ જતો રહે, તેમ બને. આ જાતકો સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હોય છે. તેઓ પોતાનું ધાર્યું કરે છે. ગુસ્સો અને જુસ્સો બંને આ જાતકોમાં વિશેષપણે જોવા મળે છે. અલબત્ત, તેઓ પ્રેમથી રિઝાઈ જાય છે. ઘોડાની માફક તેઓ થાક્યા વગર કામ કરી શકે છે. અધિપતિ ગુરુ હોવાને કારણે તેઓ ક્યારેક આળસુ પણ બની જાય. જો તેઓ આળસ છોડીને મહેનત કરવામાં મચી પડે તો સફળતાના શિખરો પ્રાપ્ત કરી શકે. ધન રાશિમાં મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રનો સમાવેશ થાય છે. જેમનો જન્મ પૂર્વાષાઢામા થયો હોય તેમનામાં હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જેમનો જન્મ ઉત્તરાષાઢામાં થયો હોય તેઓ પ્લાનિંગ મુજબ નિયમિત કામ કરવાથી ટેવાયેલા હોય છે અને દુર્ગુણોથી દૂર રહે છે.
શરીર - મન - સ્વાસ્થ્ય
શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે 2026નું વર્ષ એવરેજ રહેવાનું છે. શનિદેવ ચોથા ભાવમાં બેસીને છઠ્ઠા ભાવને દ્રષ્ટ કરે છે અને છઠ્ઠો ભાવ બીમારીનો છે, તેથી નાની મોટી બીમારી આવવાની શક્યતા બની રહે છે. શરીરનું ધ્યાન રાખવું. દવામાં પૈસા ખર્ચાય. આ જાતકો થોડા ચિંતામાં રહેશે. માથા પર સતત જવાબદારીનો ભાર વર્તાયા કરશે. માનસિક સ્તરે આ વર્ષ સાચવવા જેવું છે. વધારે પડતા વિચારો ન કરવા. પરિસ્થિતિને અનુકૂળ થઈને નિર્ણયો લેવા.
મારું ઘર મારો પરિવાર
પારિવારિક અને કુટુંબીજના સાથની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે જૂન 2026 પછીનો સમય સારો છે. ધનસ્થાનમાં વધારો થાય તેવા યોગ પણ બને છે. પરિવાર સાથે નાની મુસાફરીઓ કરવાના અવસર ઊભા થાય. 2026નું આખું વર્ષ પારિવારિક સ્તરે સારું જશે, પણ જૂનથી ડિસેમ્બર સુધીનો સમયગાળો વિશેષપણે સારો રહે એવી શક્યતા છે.
પ્રેમ - લગ્ન - સંતતિ
ધન રાશિની વ્યક્તિ માટે લગ્ન માટેનો ઉત્તમ સમય 2026ના શરૂઆતના છ મહિના છે. ત્યાર બાદ થોડીક મહેનત કરવી પડે. સંતાન ઇચ્છતા જાતકોને 2026નું વર્ષ ગુડ ન્યુઝ આપે તેવા યોગ છે.
ભણતર અને ગણતર
ધન રાશિના વિદ્યાર્થીઓ આ વર્ષે સારી પ્રગતિ કરી શકશે. જે વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી મેળવવી છે તેમના માટે 2026ના વર્ષના અંતે સારી સફળતા મળે તેવા યોગ છે. કોલેજિયનોને માટે પણ 2026 સારું સાબિત થઈ શકે. 10મા, 12મા ધોરણના વિદ્યાર્થીઓએ અચૂક મહેનત કરી લેવી જોઈએ. રિસર્ચના ફિલ્ડ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે જૂનથી ડિસેમ્બર સુધીનો સમય ખૂબ સારો પૂરવાર થશે.
નોકરી - ધંધો - કરીઅર
ધન રાશિના નોકરીયાત જાતકોએ 2026ના વર્ષ દરમિયાન સાવચેતીપૂર્વક નિર્ણયો લેવા. ચોથા ભાવમાં બેઠેલા શનિ મહારાજ છઠ્ઠા ભાવને ત્રીજી દ્રષ્ટિથી જોતાં હોવાથી નવી નોકરી મળવામાં વિઘ્નો પેદા થાય, તેવું બને. આથી જે જગ્યાએ અત્યારે છો ત્યાં સ્થિરતા બનાવી રાખવી હિતાવહ છે. નવી નોકરી શોધવામાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી પડશે. નવી નોકરી પ્રાપ્ત કરવા માટે 2026 પછી પ્રબળ યોગ બનશે. કમિશન, કન્સલ્ટિંગ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા જાતકોને કુંભ રાશિમાં બેઠેલા રાહુ અચાનક લાભ અપાવી શકે છે.
પૈસા યે પૈસા
શેરબજાર સાથે સંકળાયેલા જાતકો માટે 2026નું વર્ષ એવરેજ રહે તેવી શક્યતા છે. વધારે નુકસાન પણ નહીં થાય અને ખાસ નફો પણ નહીં થાય. સાવચેતીથી રોકાણ કરવું. સંતોષની લાગણી રાખવી. કમિશન અથવા ટુર-ટ્રાવેલિંગના ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોને અચાનક લાભ થાય તેવા યોગ બને છે. આર્થિક મામલામાં આ વર્ષ સરવાળે સારું રહેશે.
વાહન અને જમીન
વાહન, જમીન, મકાન લેવા ઇચ્છતા ધન રાશિના જાતકો માટે 2026નું વર્ષ સારુ સાબિત થઈ શકશે. ચોથા ભાવમાં શનિદેવ બિરાજમાન હોવાથી સારું ફળ મળી શકે. જેઓ સેકન્ડ-હેન્ડ ઘર ખરીદવા માગે છે અથવા જૂના મકાનમાં ઇન્વેસ્ટ કરવા માગે છે તેમના માટે આ સમય ખૂબ સારો છે. જૂન 2026થી ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો વધારે પ્રબળ છે. ગુરુ મહારાજ આઠમા ભાવમાં બેસીને ચોથા ભાવને દ્રષ્ટ કરે છે, તેથી જમીન, ઘર અને વાહનની સુવિધા પ્રાપ્ત થાય તેવા યોગ પ્રબળ બને છે. વારસાગત મિલકતમાંથી લાભ લેવા માગતા જાતકો માટે 2026નું વર્ષ સારું સાબિત થાય.
નારી તું નારાયણી
ધન રાશિમાં સ્ફુર્તિ વધારે જોવા મળે છે. અગ્નિ તત્ત્વની રાશિ હોવાથી તેઓ સતત ઊંચે આંબવાની કોશિશ કરતા હોય છે. ક્યારેક આ મહિલાઓ પ્રમાદી બની જાય છે, તેથી તેમને ક્યારેક કામમાં ધારી સફળતા મળતી નથી. આ વર્ષે તબિયત સંભાળવી. જે યુવતીઓનાં લગ્ન કોઈક ને કોઈક કારણસર લઈ શકાયાં નથી, તેમના માટે આ વર્ષ સારું બની રહેશે. સંતાન ઇચ્છતી મહિલાઓ માટે પણ આ વર્ષે સારા યોગ બને છે. વિદેશ જવા ઇચ્છતી બહેનોને થોડીક રાહ જોવી પડશે.
વિશેષ ઉપાય
ધન રાશિના જાતકોનો અધિપતિ ગ્રહ ગુરુ હોવાથી તેમણે હંમેશાં સાધુ-સંતોને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ધાર્મિક કાર્ય કરતા રહેવું જોઈએ. સૂર્યનારાયણ આ જાતકોના ભાગ્યના અધિપતિ દેવ છે, તેથી તેમની હંમેશા આરાધના કરવી જોઈએ. સૂર્યનારાયણના પાઠ કરવાથી ભાગ્યોદય થઈ શકે છે. રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. મંગળવારે ગણપતિદાદાને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું જોઈએ.
તમારું 2026નું વર્ષ કેવું જશે?..... નીચે આપેલી રાશી પર ક્લિક કરો અને જાણો તમામ માહિતી
• મેષ : આ વર્ષે તન અને મન બન્ને અલમસ્ત રહેશે
• વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે
• મિથુન : આ વર્ષે તમારા પરિવારમાં નવા સભ્યો ઉમેરાઈ શકે છે
• કર્ક : શેરબજારમાં રોકાણ કરનારાઓને આ વર્ષે જલસો પડશે
• સિંહ : ફેમિલી સાથે સારી રીતે કમ્યુનિકેટ કરજો
• કન્યા : પગાર વધશે, પ્રમોશન પણ મળશે
• તુલા : શેરબજારમાં કમાણી કરવા માટે આ ઉત્તમ વર્ષ છે
• વૃશ્ચિક : આ વર્ષે બિઝનેસમાં સમજી-વિચારીને રોકાણ કરવું
• ધન : કોલેજિયનો માટે આ વર્ષ સારું પૂરવાર થશે
• મકર : ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું, મહેનત કરવા પર વધારે ધ્યાન આપવું
• કુંભ : પ્રોપર્ટી કે વાહન ખરીદવામાં ઉતાવળ ન કરતા
• મીન : આ વર્ષે વિદેશપ્રવાસ કરવાના સંજોગો મજબૂત છે
• તમારા જન્મતારીખના અંકો અનુસાર તમારું 2026નું વર્ષ કેવું રહેશે?


