ગુજરાતમાં મેઘમહેર: 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ, 13 ડેમ છલકાયા અને 21 હાઈ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Dam Overflow: ગુજરાતમાં ચાલુ મોસમમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક સતત થઈ રહી છે. જળસંપત્તિ વિભાગના 27મી જુલાઈના અહેવાલ મુજબ રાજ્યના 207 જળાશયોમાં કુલ 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જેમાં 13 ડેમ 100 ટકા ભરાઈને છલકાયા છે, જ્યારે 21 ડેમ માટે તંત્ર દ્વારા 'હાઈ ઍલર્ટ' જાહેર કરવામાં આવી છે.
સરદાર સરોવર અને 206 જળાશયોની સ્થિતિ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા સિવાયના 206 મુખ્ય જળાશયોમાં કુલ 2,53,336 MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ ક્ષમતાના 45.41 ટકા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજના દિવસે રાજ્યના જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો.
ડેમોની તબક્કાવાર સ્થિતિ
•100 ટકા ભરાયેલા ડેમ: 13
•90 ટકાથી 100 ટકા ભરાયેલા ડેમ: 26
•50 ટકાથી 70 ટકા ભરાયેલા ડેમ: 28
•25 ટકાથી 50 ટકા ભરાયેલા ડેમ: 55
•25 ટકાથી ઓછા ભરાયેલા ડેમ: 84
તંત્ર દ્વારા 21 ડેમ માટે હાઈ એલર્ટ ઉપરાંત 05 જળાશયો માટે 'ઍલર્ટ' અને 13 જળાશયો માટે 'વોર્નિંગ' જાહેર કરવામાં આવી છે.
પાણીની આવક અને મંડળ વાઈઝ સ્થિતિ
દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક સામે 37,000 ક્યુસેકથી વધુ પાણીની જાવક નોંધાઈ છે, જ્યારે ઉકાઈ ડેમમાં 11,68૯ ક્યુસેક આવક થઈ રહી છે.
રિજિયન મુજબ જોઈએ તો..
•મધ્ય ગુજરાત (17 ડેમ): 50 ટકાથી વધુ પાણી
•સૌરાષ્ટ્ર (141 ડેમ): 47 ટકાથી વધુ પાણી
•દક્ષિણ ગુજરાત (13 ડેમ): 45 ટકા પાણી
•ઉત્તર ગુજરાત (15 ડેમ): 39 ટકાથી વધુ પાણી
•કચ્છ (20 ડેમ): 25 ટકા પાણી









