Gujarat

અરવલ્લી જિલ્લામાં 2021માં કોરોના રસીના 14,44,702 ડોઝ અપાયા

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
અરવલ્લી જિલ્લામાં 2021માં કોરોના રસીના 14,44,702 ડોઝ અપાયા

મોડાસા,તા. 31

 જિલ્લામાં ત્રીજી લહેરની આશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ ને રસીકરણ કામગીરીને તેજ બનાવવા પ્રયાશો હાથ ધરાયા છે. વર્ષ ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી  જિલ્લામાં હાથ ધરાયેલા કોવીડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ ૭૦૦૯૧૬ નાગરિકોને પ્રથમ અને ૭૪૩૭૮૬ નાગરિકોને કોવીડ-૧૯ રસીનો બીજો ડોઝ પૂરો પડાયો છે  અને આ વ્યાપક રસીકરણ ઝુંબેશ હેઠળ જિલ્લામાં કોવીડ-૧૯ રસીના ૧૪,૪૪૭૦૨ થી વધુ ડોઝનો વપરાશ કરવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું.

હવાઈ માર્ગે વિદેશથી દેશમાં આવેલી કોરોનાની મહામારીને લઈ દેશવાસીઓને શારિરીક,માનસિક અને આર્થિક રીતે સહન કરવાનો વારો છેલ્લા બે વર્ષથી આવ્યો છે. માસ્ક,સોશીયલ ડિસ્ટન્સીંગ અને લોકડાઉન દ્વારા કોરોનાને નાથવાનો પ્રયાશ કરનાર તંત્ર હવાઈ મુસાફરી, વિદેશી યાત્રિકો, ચૂંટણીઓ, રાજકીય યાત્રાઓ કે સંમેલનો ઉપર રોક લગાવી શકતી નથી.

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ અભિયાનના પ્રારંભે ૭૭૮૧ હેલ્થ વર્કર અને ૯૦૨૫ ફ્રન્ટ લાઈન વર્કરોને રસીનો પ્રથક ડોઝ પુરો પડાયો હતો.છેલ્લા સાડા અગિયાર માસના આ રસીકરણ અભિયાનમાં ૧૪,૪૪,૭૦૨ રસીના ડોઝનો વપરાશ કરાયો છે.અને ૮,૩૫,૩૯૫ નાગરિકોના લક્ષ્યાંક સામે ૭૦૦૯૧૬ નાગરિકોને પ્રથમ અને ૭૪૩૭૮૬ નાગરિકોને બીજો ડોઝ પૂરો પડાયો હોવાનું નોડલ ઓફીસર અને એડીએચઓ ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું.આ રસીકરણ અભિયાન દરમ્યાન હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને ૧૦૦ ટકા રસીકરણ કરાયું છે. જયારે ૧૮થી વધુ વયના નાગરિકોના કુલ લક્ષ્યાંક સામે ૮૬ ટકા રસીકરણ કરાયું પૂર્ણ કરાયું છે.  છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણા કેસો વધતાં અને ઓમિક્રોનની વ્યાપક અસરોને લઈ જિલ્લામાં ટેસ્ટીંગ અને રસીકરણ ઝુંબેશને તેજ બનાવાઈ હોવાનું ર્ડા.કૌશલ પટેલે જણાવ્યું હતું.વર્ષ ૨૦૨૨ના પ્રારંભે એટલે કે ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોર-કિશોરીઓને જયારે ૧૦ જાન્યુઆરીથી હેલ્થ વર્કર,ફ્રન્ટ લાઈન વર્કરઅને ગંભીર રોગ ધરાવતા ૬૦ વર્ષથી વધુ વયના સીનીયર સીટીઝનોને બુસ્ટર ડોઝ પૂરો પાડવામાં આવનાર હોવાનું જિલ્લા આરસીડીએચઓ ર્ડા.એ.બી.પટેલે જણાવ્યું હતુું.

જિલ્લામાં ૪૭૧૭ વ્યક્તિઓનો બીજો ડોઝ શરૂ થયો

અરવલ્લી જિલ્લામાં કોવેકસીન રસીનો બીજો ડોઝ ૨૮ અને કોવીશીલ્ડનો બીજો ડોઝ ૮૪ દિવસ અપાય છે. જિલ્લામાં બીજા ડોઝની રસી લેવા પાત્ર ૪૭૧૭ વ્યક્તિઓ સમય પૂરો થયા પછી પણ હજુ રસી લેવા કેન્દ્રો ઉપર પહોંચ્યા નથી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ નાગરિકોને મેસેજ અને ફોન કરી સમસસર રસી લેવા અપીલ કરાઈ રહી છે.

જિલ્લામાં ૧,૩૪ ,૪૭૯ વ્યક્તિઓ હજુ પ્રથમ ડોઝ ેલેવા ગયા જ નથી

કોરોના સંક્રમણમાં ડેલ્ટા અને ઓમિક્રોન વાયરસના કહેર સામે સુરક્ષિત બનવા કોવીડ-૧૯ રસી અત્યંત જરૂરી મનાય છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં કુલ ૮,૩૫,૩૯૫ વ્યક્તિઓને રસી પૂરી પાડવાના લક્ષ્યાંક સામે માત્ર ૭૦૦૯૧૬ નાગરિકોએ જ રસી મેળવી છે.ત્યારે રસીકરણથી બાકી રહેલા આશરે ૧ લાખથી વધુ વ્યક્તિઓ અન્ય નાગરિકો માટે પણ જોખમી નીવડી શકે છે એમ મનાઈ રહયું છે.