રક્ષાબંધન પર્વે ટ્રેક્ટરની ટક્કરથી બાઇક ફંગોળાતાં બે યુવાનોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી : તહેવારોની ઉજવણી દરમિયાન અકસ્માતની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના નાગેશ્રી નજીક રક્ષાબંધન પર્વે જ ટ્રેક્ટરની જોરદાર ટક્કર લાગતા બાઇક સવાર બન્ને યુવાનો ફંગોળાઇને રસ્તા ઉપર પટકાતા જ બન્ને યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. અકસ્માતની ગંભીર ઘટના બાદ ટ્રેક્ટર ચાલક વાહન મૂકી નાસી છૂટયો હતો. ઘટનાને પગલે મૃતક યુવાનોના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાગેશ્રી ગામના રહેવાસી મહાવીર જશુ વરૂ અને શ્યામ રામ જોગદીયા ચોત્રા ગામેથી પોતાનું બાઇક લઇને નાગેશ્રી ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચોત્રા રોડ પર આવેલા શીતળા માતાના મંદિર નજીક પહોંચતા સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલું ટ્રેક્ટર તેમની બાઇક સાથે ધડાકાભેર અથડાયું હતું.
બાઇક પર સવાર બંને યુવકો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. અને ગંભીર જિાઓ થતા બન્નેના મોત નિપજ્યા હતાં. જ્યારે અકસ્માતને પગલે બાઇકના પણ ફૂરચેફૂરચા બોલી ગયા હતા. બનાવ બાદ ટ્રેક્ટર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ નાગેશ્રી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના શબનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયા હતાં. આ મામલે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરાર ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




