નેપાળ ગયેલા જાફરાબાદનાં મંદિરના મહંત ગોમતીદાસ બાપુ પણ લાપતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી,રાજુલા : જાફરાબાદ તાલુકાના ખંઢેરા હનુમાન મંદિરના મહંત કામતાપ્રસાદ (ગોમતીબાપુ) જાફરાબાદથી અમદાવાદ અને ત્યાંથી ટ્રેન મારફતે અયોધ્યા પહોંચ્યા હતા. ત્યાંથી સંતો-મહંતોના સંધ સાથે નેપાળ દર્શન માટે નીકળ્યા હતા. નેપાળની પૂર દુર્ઘટના બાદ તેઓનો સંપર્ક તૂટી ગયો છે. મહંત ગુમ થઇ જતા સેવકગણમાં ચિંતા વ્યાપી છે.
નેપાળની પૂર દુર્ઘટનાના પગલે નેપાળ અને કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, નેપાળ પ્રવાસે ગયેલા ગુજરાતના મૂળ વતનીઓ તેમજ વિદેશી નાગરિકતા ધરાવતા મળીને કુલ ૨૪ નાગરિકો હાલ સંપર્કવિહોણા થયા છે. સંપર્કવિહોણા થયેલા નાગરિકોમાં અમરેલી જિલ્લાના બે વ્યક્તિઓમાં જાફરાબાદ સ્થિત ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત કામતાપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ બાપુ તથા અમેરિકી નાગરિકતા ધરાવતા દિનેશ પટેલનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, ગોમતીદાસબાપુ ગત ૧૦મી ઓગસ્ટે જાફરાબાદથી અયોધ્યા જવા માટે નીકળ્યા હતા. અયોધ્યાથી તેઓ સાધુ સમાજ સાથે નેપાળની યાત્રાએ રવાના થયા હતા. જોકે, નેપાળ પહોંચ્યા બાદ અચાનક આવેલી પૂરની હોનારત પછી તેનો સંપર્ક તૂટી ગયો છે. મહંત ગોમતીદાસબાપુનો કોઈ પત્તો ન મળતાં અમરેલી અને જાફરાબાદ પંથકમાં તેમના સેવકગણમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસ અને સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્ક જાળવીને ગુમ થયેલા તમામ ૨૪ નાગરિકોને ઝડપથી શોધી કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.




