અમરેલી: લાઠીમાં એનાલોગ પનીરના વેચાણ સામે SOGના દરોડા: બે દુકાનમાંથી 19 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lathi Analog Paneer Raid: રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીરના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધના આદેશ બાદ અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે લાઠી શહેરમાં એનાલોગ પનીરનું વેચાણ કરતી બે દુકાનો પર ત્રાટકીને 19 કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ડેરી ફાર્મ અને કેક શોપમાંથી જથ્થો મળ્યો
મળતી માહિતી મુજબ, લાઠીમાં શંકાસ્પદ એનાલોગ પનીરનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે SOGની ટીમે સ્થાનિક ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન લાઠીમાં આવેલી ચામુંડા ડેરી ફાર્મ અને એક કેક શોપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુકેશ મકવાણા અને કેશુ મકવાણાની માલિકીની આ બંને દુકાનોમાંથી 19 કિલો શંકાસ્પદ એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી
SOG પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની મદદથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. અમરેલી જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે SOG દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.









