અમદાવાદમાં મીઠાઈ-ફરસાણની 4 હજાર દુકાનમાંથી 16 પાસે જ ટેસ્ટિંગ કિટ, તંત્રએ સફાળા જાગીને આપી વસાવવાની સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad’s Sweets & Farsan, Tested First, Served Fresh: અમદાવાદ શહેરમાં મીઠાઈ અને ફરસાણમાં થતી ભેળસેળ રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વેપારીઓને 'રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ' રાખવાની સૂચના અપાઈ છે. જો કે, તેનો અમલ હાલ અત્યંત ધીમી જોવા મળી રહી છે. શહેરમાં અંદાજે 3,500થી 4,000 જેટલી મીઠાઈ અને ફરસાણની દુકાનો આવેલી છે, જેની સામે અત્યાર સુધીમાં માત્ર 16 એકમોએ જ આ કિટ વસાવી છે.
ટેસ્ટિંગ કિટની હાલની સ્થિતિ
આ 16 એકમે કુલ 53 કિટ મેળવી છે. આ ઉપરાંત, ગ્વાલિયા સ્વીટ્સે પોતાના 15 આઉટલેટ્સ માટે અલગથી 15 કિટ મેળવી છે. આમ, સમગ્ર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 68 રેપિડ ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ થઈ છે. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા બાકીના તમામ વેપારીઓને પણ વહેલી તકે આ કિટ મેળવવા માટે સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે.
કયા વેપારીઓ પાસે કેટલી કિટ છે?
- ઇસ્કોન ગાંઠિયા (પ્રહલાદનગર): 9
- ભોગીલાલ મૂળચંદ (આશ્રમ રોડ): 6
- મયૂર ડેરી એન્ડ સ્વીટ્સ (નિકોલ): 4
- જય હિન્દ સ્વીટ્સ (નવરંગપુરા): 4
- મોહનલાલ મીઠાઈવાલા (નવરંગપુરા): 3
- કર્ણાવતી ડેરી (અમદાવાદ): 15
- સાગર કોઠારી બુધાલાલ ડેરી (જોધપુર ક્રોસ રોડ): 2
- સ્વીટ રાગા ઇન્ડિયા એલએલપી (સેટેલાઇટ રોડ): 2
- રસ રંજન ફૂડ પ્રા. લિ. (નવરંગપુરા): 1
- સૌરાષ્ટ્ર ગાંઠિયા (નવરંગપુરા): 1
- પ્રફૂલ મીઠાઈ ઘર (સાબરમતી): 1
- પ્રફૂલ સ્વીટ્સ એન્ડ નમકીન (સાબરમતી): 1
- ધનલક્ષ્મી ફૂડ પ્રોડક્ટ્સ (સાબરમતી): 1
- ચામુંડા ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (થલતેજ): 1
- શ્રી ઉમિયા ડેરી (ગોતા): 1
- સદ્વિચાર ચવાણા કેન્દ્ર (મણિનગર): 1
(નોંધ: આ ઉપરાંત ગ્વાલિયા સ્વીટ્સના 15 આઉટલેટ્સમાં 15 કિટ ઉપલબ્ધ છે.)
રેપિડ કિટનો ઉપયોગ અને મર્યાદા
આ કિટનો ઉપયોગ મીઠાઈ અને નમકીનની ગુણવત્તાની સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરવા માટે થાય છે. તેની મદદથી માવા, મીઠાઈ કે પનીરમાં સ્ટાર્ચની હાજરી, ભેળસેળિયા રંગો, ચાંદીના વરખ અને ઘી જેવા ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસી શકાય છે. જોકે, ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ કિટ માત્ર પ્રાથમિક તપાસ માટે છે અને તે લેબોરેટરીના આખરી રિપોર્ટનો વિકલ્પ નથી.
ધીમો પ્રતિસાદ અને તંત્રની અપીલ
હજારો દુકાનોની સરખામણીએ માત્ર 16 એકમો દ્વારા કિટ વસાવવામાં આવી હોવાથી અમલની ગતિ ખૂબ મંદ જણાય છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, કિટનો નિયમિત ઉપયોગ કરીને ગ્રાહકોને સલામત અને શુદ્ધ ખાદ્યપદાર્થો પૂરા પાડવાની પ્રાથમિક જવાબદારી વેપારીઓની જ રહેશે.




