સિંગર કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા PIને લખ્યો પત્ર, બળજબરી અંગે કર્યો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Singer Kinjal Rabari Controversy: અમદાવાદના ચાંદખેડામાં આવેલા CBD મોલથી કિંજલ રબારીનું અપહરણ થયું હોવાના દાવા મામલે સિંગરે વીડિયો જાહેર કરીને પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ, કિંજલના પતિ મુકેશ દેસાઈએ સમગ્ર ઘટના મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેવામાં હવે સિંગર કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના PIને પત્ર લખીને પરિવારની બળજબરી અંગે ખુલાસો કર્યો છે.
સિંગર કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા PIને લખ્યો પત્ર
અમદાવાદ પોલીસ કમિશનરને લખેલા પત્રમાં કિંજલે જણાવ્યું કે, 'મે અશોકભાઈ વાલાભાઈ ચૌધરી સાથે ગત 2 મે, 2024ના રોજ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા. જો કે, થોડા સમય બાદ અમે પરિવારને લગ્ન સ્વીકારવા માટે વિનંતી કરી હતી. પરંતુ અમારા કુટુંબવાળા ન માનતા 10 મે 2026ના રોજ મારા પિતાનું ઘર છોડી દીધુ હતું અને હું અને અશોક પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. આ પછી મારા પિયર પક્ષે બળજબરીથી અમને છૂટા પાડીને ઘરે લઈ ગયા અને મને ગોંધી રાખી ઘરની બહાર જવા પણ દેતા નહોતા. આ દરમિયાન મારા પરિવારે બળજબરીથી રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી અપાવી હતી. જો કે, મારે અશોકથી ક્યારેય છૂટાછેડા લેવા ન હતા. પરંતુ મને બળજબરીથી હાઇકોર્ટમાં જવાબ અપાવ્યો અને બળજબરીથી મને ગોતરકા ગામે મુકેશ દેસાઈ સાથે સોંપી દેવામાં આવી હતી.'
બળજબરી અંગે કર્યો ખુલાસો
પરિવારની બળજબરી અંગે વધુ ખુલાસો કરતાં કિંજલે પત્રમાં જણાવ્યું કે, 'પિયરની બળજબરી વચ્ચે મને મોકો મળતા મે મારા પતિ અશોકનો સંપર્ક કરીને બોલાવ્યા હતા. જેમાં ગત 6 સપ્ટેમ્બર, 2026ના રોજ મારી મરજીથી હું એમની સાથે ગઈ હતી. મારું કોઈ અપહરણ થયું નથી કે મારી સાથે કોઈ જબરજસ્તી કરવામાં આવી નથી. તેમ છતાં મારા પિયર પક્ષના લોકો તેમજ મુકેશ કોઈ ખોટી કાર્યવાહી કે ફરિયાદ કરે તેવું હોવાથી મારો આ જવાબ મોકલું છું.'
શું હતી સમગ્ર ઘટના?
મુકેશ દેસાઈએ 9 સપ્ટેમ્બરના રોજ ચાંદખેડા પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને CBD મોલ ખાતેથી તેની પત્ની કિંજલ રબારીનું એક કાળા કલરની કારમાં અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં મુકેશે જણાવ્યું હતું કે તે પત્ની કિંજલ, તેની સાળી, ભાઈ અને બનેવી સાથે CBD મોલ ખાતે મિર્ઝાપુર મૂવી જોવા માટે આવ્યા હતા. આ મૂવી ચાલતું હતું તે દરમિયાન ઇન્ટરવેલના સમયે કિંજલ તેમને કહ્યું કે તેની તબિયત સારી નથી અને તેને ખૂબ મૂંઝવણ થઈ રહી છે. આથી, કિંજલના કહેવા મુજબ તેઓ થિયેટરમાંથી બહાર આવીને નીચેના ભાગે CBD મોલની આગળ રોડ પાસે ઊભા હતા. આ જ સમયે કિંજલની બહેન જાનકીનો ફોન આવતા તેઓ તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન એક કાળા રંગની ગાડીમાં બેસાડી કિંજલનું અપહરણ થયું હોવાની તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.




