અમદાવાદ રથયાત્રાના રુટ આવતા રસ્તા બે દિવસ માટે 'નો પાર્કિંગ ઝોન' જાહેર, નિયમ ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info
Ahmedabad Rath Yatra: અમદાવાદ શહેરમાં આગામી 16 જુલાઈ 2026ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 149મી નગર રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના દિવસે વાહન વ્યવહારનું સરળતાથી નિયમન થઈ શકે અને ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય નહીં તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર રથયાત્રાના સમગ્ર રૂટ અને તેની આસપાસના વિસ્તારોને બે દિવસ માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.
15 અને 16 જુલાઈના રોજ આ વિસ્તારો રહેશે ‘નો પાર્કિંગ ઝોન’
રથયાત્રાના રૂટ પર આવતા જાહેરમાર્ગોને તા. 15 જુલાઇની રાત્રે 12.૦૦ કલાકથી શરૂ કરીને તા. 16 જુલાઇના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ‘નો પાર્કિંગ ઝોન’ તરીકે રાખવામાં આવશે.
'નો પાર્કિંગ ઝોન’ હેઠળના મુખ્ય વિસ્તારો
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી શરૂ કરીને જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા (બી.આર.ટી.એસ. રૂટ સહિત), મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔત્તમ પોળ, આર.સી. હાઇસ્કુલ, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ અને ખમાસા થઈને પરત જગન્નાથ મંદિર સુધીના તમામ વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-131 મુજબ કડક ગુનો નોંધી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.









