Ahmedabad

પત્નીની આત્મહત્યાના કેસમાં પતિને નોકરીમાંથી ન હટાવી શકાય: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે, સરકારી કર્મચારી સામે વ્યક્તિગત જીવન સંબંધિત ફોજદારી કેસ હોય અને વિભાગીય તપાસ ન થઈ હોય તો, તેને ફરજ બજાવવાથી રોકી શકાય નહીં. હાઈકોર્ટે પત્નીની આત્મહત્યાના કેસમાં ક્લાર્ક પતિને 4 અઠવાડિયામાં ફરી ફરજ પર લેવા રાજ્ય સત્તાધીશોને આદેશ કર્યો છે. આ પુનઃસ્થાપન ફોજદારી કેસના અંતિમ પરિણામને આધીન રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્નીની આત્મહત્યાના કેસમાં પતિને નોકરીમાંથી ન હટાવી શકાય: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, સરકારી કર્મચારી સામે વ્યક્તિગત જીવન સાથે સંબંધિત ફોજદારી કેસ નોંધાયેલો હોવા માત્રથી અને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી ન હોય તો, તેને ફરજ બજાવવાથી રોકી શકાય નહીં. હાઈકોર્ટે એક ક્લાર્કને ચાર અઠવાડિયામાં ફરી ફરજ પર લેવા અને તેને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવા રાજ્ય સત્તાધીશોને નિર્દેશ આપ્યો છે.

પત્નીની આત્મહત્યાના કેસમાં પતિને નોકરીમાંથી ન હટાવી શકાય: ગુજરાત હાઇકોર્ટ

અરજદારે પોતાની પુનઃસ્થાપન માટે 8 ઓક્ટોબર, 2024ના રોજ કરેલી રજૂઆત પર કોઈ નિર્ણય ન લેવાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. સમગ્ર મામલે એડવોકેટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સિંગલ જજે ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યાને પ્રેરણા આપવાના ગુનાનો ટ્રાયલ ચાલુ હોવાથી વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

આ આદેશ સામે દાખલ કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલની સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચે નોંધ્યું કે, અરજદાર હાલમાં પ્રોબેશન પર છે અને તેની સામે નોંધાયેલો ગુનો તેની સરકારી ફરજ સાથે સંબંધિત નથી.

શું હતી સમગ્ર ઘટના?

કેસની વિગત એવી હતી કે, પત્ની હેડ કોન્સેટેબલ અને પતિ પોલીસમાં કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો. બંને વચ્ચે કોઇ કારણોસર વિખવાદ થતાં પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં પતિને શંકાના આધારે નોકરી પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણય સામે અરજદાર પતિએ હાઇકોર્ટમાં નોકરી પર પરત લેવા દાદ માગતી અરજી કરી હતી.

હાઈકોર્ટે વધુમાં નોંધ્યું કે, અરજદાર સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં માત્ર ફોજદારી કેસના આધારે તેને ક્લાર્ક તરીકેની ફરજ બજાવવાથી રોકી શકાય નહીં. તેથી સંબંધિત સત્તાધીશોએ ચાર અઠવાડિયામાં અરજદારને નોકરી પર પુનઃસ્થાપિત કરી ફરજ સંભાળવાની મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો આદેશ: સિલિકોસિસ પીડિતોને વળતર ચૂકવણીની સમયમર્યાદા નક્કી કરો

સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ પુનઃસ્થાપન ફોજદારી કેસના અંતિમ પરિણામને આધીન રહેશે. જો ભવિષ્યમાં ફોજદારી અદાલત અરજદારને દોષિત ઠેરવશે, તો કાયદા મુજબ તેની નોકરી આપોઆપ સમાપ્ત થઈ જશે. આ સાથે હાઈકોર્ટે લેટર્સ પેટન્ટ અપીલનો નિકાલ કર્યો હતો.