Ahmedabad

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોનો કમાલ: દર્દીની શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં બહાર કાઢ્યો

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી કમાલ કરી છે. પંચમહાલના 47 વર્ષીય બળવંતની શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં સફળતાપૂર્વક બહાર કાઢી નવજીવન આપ્યું. પાણી પીતી વખતે દાંત શ્વાસનળીમાં જતો રહ્યો હતો. પલ્મોનરી મેડિસીન, ENT અને એનેસ્થેસિયા વિભાગના સંયુક્ત પ્રયાસથી આ દુર્લભ કેસમાં સફળતા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોનો કમાલ: દર્દીની શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં બહાર કાઢ્યો

Ahmedabad Civil Hospital News: અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ ફરી એકવાર ઉત્કૃષ્ટ કૌશલ્ય અને અદ્ભુત ટીમવર્કનો પરિચય આપતાં જટિલ કેસમાં સફળતા મેળવી છે. પંચમહાલ જિલ્લાના 47 વર્ષીય દર્દી બળવંતની શ્વાસનળીમાં આશરે દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં સફળતાપૂર્વક બહાર કાઢીને તબીબોએ તેને નવજીવન આપ્યું છે.

પાણી પીતી વખતે શ્વાસનળીમાં જતો રહ્યો હતો દાંત

દર્દી બળવંતના જણાવ્યાનુસાર, આશરે દોઢ વર્ષ પહેલાં તેમનો એક દાંત આપોઆપ પડી ગયો હતો અને પાણી પીતી વખતે અજાણતા જ શ્વાસનળીમાં જતો રહ્યો હતો. જેના કારણે છેલ્લા એક મહિનાથી તેમને સતત ઉધરસ અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ રહી હતી. તકલીફ વધતાં દર્દીને 20મી જુલાઈ 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પલ્મોનરી મેડિસીન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, આ દાંત શ્વાસનળીની એક શાખામાં ઊંડે સુધી ફસાયેલો હતો.

3 વિભાગના તબીબોના સંયુક્ત પ્રયાસથી મળ સફળતા

કેસની ગંભીરતાને ધ્યાને રાખી પલ્મોનરી મેડિસીન, કાન-નાક-ગળા (ENT) અને એનેસ્થેસિયા વિભાગના તબીબોએ સંયુક્ત સારવાર યોજના તૈયાર કરી હતી. ત્યારબાદ 23મી જુલાઈના રોજ ઓપરેશન થિયેટરમાં અદ્યતન બ્રોન્કોસ્કોપિક ટેકનીકની મદદથી આ દાંતને માત્ર 2 મિનિટમાં જ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.

પલ્મોનરી મેડિસીન વિભાગના વડા ડૉ. નલિન ટી. શાહે જણાવ્યું હતું કે, 'સામાન્ય રીતે નાના બાળકોમાં શ્વાસનળીમાં બાહ્ય વસ્તુઓ ફસાવાના કિસ્સા જોવા મળતા હોય છે, પરંતુ 47 વર્ષીય વ્યક્તિમાં દોઢ વર્ષ સુધી દાંત ફસાયેલો રહેવો એ અત્યંત દુર્લભ બાબત છે. શ્વાસનળીમાં કોઈ પણ પદાર્થ (Foreign Body) લાંબો સમય રહે તો ચેપ લાગવા સાથે ફેફસાં કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. તેથી, જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી સતત ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોય, તો વિલંબ કર્યા વિના નિષ્ણાત તબીબની સલાહ લેવી જોઈએ.'