અમદાવાદમાં વર્ષોથી આ જ હાલાકી! સરસપુર-રખિયાલમાં રહેવાસીઓ પાણી ભરાતા ત્રાહિમામ, રોષ સાતમા આસમાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain News: અમદાવાદના સરસપુર-રખિયાલ વોર્ડમાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ફરી એકવાર ખોલી નાખી છે. સમગ્ર વિસ્તાર જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મુખ્ય માર્ગોથી લઈને આંતરિક સોસાયટીઓ સુધી પાણી ભરાઈ જતાં વાહનચાલકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
વર્ષોથી આ સમસ્યાનો અંત નથી: સ્થાનિકો
દર વર્ષે ચોમાસું આવે, વરસાદ પડે અને અમદાવાદના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય, આ હવે નવી ઘટના રહી નથી, પરંતુ તંત્રની જૂની બેદરકારીનું જીવંત ઉદાહરણ બની ગયું છે. કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે બે દિવસના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જવું એ આખરે કયા વિકાસનું પ્રતિબિંબ છે?

ડ્રેનેજ લાઈનની મુખ્ય સમસ્યા
વર્ષોથી ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે. નાગરિકો નિયમિતપણે મિલકત વેરો અને અન્ય કર ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને મળે છે માત્ર પાણી ભરાયેલા રસ્તા, ટ્રાફિક, અકસ્માતનો ભય અને રોજિંદી મુશ્કેલીઓ.

પૂર્વ વિસ્તારની જનતાનો તંત્ર ને સવાલ
હવે સરસપુર-રખિયાલના લોકોનો એક જ સવાલ છે, કાગળ પરનો વિકાસ નહીં, જમીન પર પરિણામ ક્યારે દેખાશે? પાણી ભરાવાની આ કાયમી સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ હવે જવાબદારીમાંથી બચવાના બદલે નાગરિકોને સ્પષ્ટ જવાબ આપવાનો સમય આવી ગયો છે.










