અમદાવાદ: આનંદનગર આંગણવાડીમાંથી બાળકોના સરકારી અનાજની ચોરી, તેડાગર સામે પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સરકાર દ્વારા અપાતા પોષણક્ષમ અનાજ બારોબાર વેચી મારવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીમાંથી 24,565 રૂપિયાની કિંમતનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનો પ્રયાસ કરનાર તેડાગર મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે.
વીડિયો વાઈરલ થતાં ભાંડો ફૂટ્યો!
મળતી વિગતો મુજબ, ગત 19મી જુલાઈના રોજ રવિવારે બપોરે કૃષ્ણધામ આંગણવાડી-06ના તેડાગર મનિષાબહેન મીસ્ત્રી (રહે. વેજલપુર)એ કેન્દ્ર પર આવીને અનાજની ચોરી આચરી હતી. તેમણે કૃષ્ણધામ-06 અને 01માંથી બાળશક્તિની 16 બેગ, માતૃશક્તિની 6 બેગ અને પૂર્ણાશક્તિની 15 બેગ મળીને કુલ 37 બેગ (કિંમત રૂ. 24,565) એક અજાણ્યા ટેમ્પોમાં ભરીને વેચવા મોકલી હતી. જોકે, આ ગેરરીતિનો એક અજાણ્યા શખસે વીડિયો ઉતારી લેતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. વીડિયો શૂટ થતાં જ ટેમ્પોચાલક ગભરાઈ ગયો હતો અને તમામ જથ્થો આંગણવાડી ખાતે પાછો ઉતારીને ભાગી છૂટ્યો હતો.
મુખ્ય સેવિકાએ નોંધાવી ફરિયાદ
આ ઘટનાની જાણ થતાં જ સરખેજ-01ના સુપરવાઈઝર અને મુખ્ય સેવિકા રચનાબેન વસંતભાઈ પટેલે બ્લોક કો-ઓર્ડીનેટર અને પ્રોગ્રામ ઓફિસર સહિતની ટીમ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચોરીનો પ્રયાસ સાબિત થતાં તેમણે પોતાના જ હાથ નીચે કામ કરતા તેડાગર મનિષાબેન મીસ્ત્રી વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. હાલ આનંદનગર પોલીસે સરકારી સામાનની નોકર ચોરી અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









