અમદાવાદની જે.જી. યુનિવર્સિટીમાં ATKT મુદ્દે ABVPનો દેખાવો: 500 વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યાનો દાવો, રજિસ્ટ્રારે કરી સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad JG University: અમદાવાદની જે.જી. યુનિવર્સિટીમાં પૂરક પરીક્ષા પાસ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓને આગલા સેમેસ્ટરમાં પ્રવેશ ન મળવા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. એક તરફ ABVP વિદ્યાર્થીઓના અભ્યાસના બગાડનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ યુનિવર્સિટી પ્રશાસને આ મામલે સ્પષ્ટતા કરતા આખી ઘટનાને ગેરસમજ ગણાવી છે.
ABVPના આક્ષેપ અને માગણીઓ
ABVPના સહ-મંત્રીએ યુનિવર્સિટી પ્રશાસનને આવેદનપત્ર સોંપીને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી હતી. ABVPની મુખ્ય રજૂઆતો છે કે…
•500થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવાનો દાવો: પૂરક પરીક્ષા પાસ કરી હોવા છતાં 500 જેટલા વિદ્યાર્થીઓને આગલા સેમેસ્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી.
•અભ્યાસક્રમ રીશેડ્યુલ કરવાની માગ: વિદ્યાર્થીઓનો એક મહિનાથી વધુ સમયનો અભ્યાસ બગડ્યો હોવાથી તેમને ત્વરિત પ્રવેશ આપીને છૂટી ગયેલો અભ્યાસક્રમ ફરીથી ચલાવવામાં આવે.
•વાઇસ ચાન્સેલરની ગેરહાજરી સામે રોષ: યુનિવર્સિટી સવારે સાડા સાત વાગ્યાથી શરૂ થઈ ગઈ હોવા છતાં વાઇસ ચાન્સેલર (VC) હાજર ન રહેતા ABVPએ નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પ્રશાસનને માત્ર જાહેરાતો આપવામાં રસ છે, વિદ્યાર્થીઓના પ્રશ્નો પ્રત્યે તેઓ બેધ્યાન છે.
યુનિવર્સિટી પ્રશાસન અને રજિસ્ટ્રારની સ્પષ્ટતા
ABVPના આક્ષેપો સામે જે.જી. યુનિવર્સિટીના રજિસ્ટ્રારે નિયમો ટાંકીને પ્રશાસનનો પક્ષ રજૂ કર્યો હતો.
•નિયમ મુજબ પ્રમોશન: જે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઈ ગયા છે અને જેમને 4 કે તેથી ઓછી ATKT (બ્લોક) છે, તેવા તમામ વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રમોટ કરીને ક્લાસમાં બેસવા દેવામાં આવ્યા છે.
•વિદ્યાર્થી હિતમાં વહેલી પરીક્ષા: યુનિવર્સિટી સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં લેવાતી રેમેડિયલ (પૂરક) પરીક્ષા જૂન મહિનામાં જ યોજી લે છે, જેથી વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે નહીં.
•125 વિદ્યાર્થીઓ જ બાકી: 500 વિદ્યાર્થીઓના દાવા સામે રજિસ્ટ્રારે સ્પષ્ટ કર્યું કે સમગ્ર યુનિવર્સિટીમાં નિયમાનુસાર (5 કે તેથી વધુ બ્લોક ધરાવતા) માત્ર અંદાજે 125 વિદ્યાર્થીઓ જ એવા છે જેમને પ્રમોટ કરી શકાયા નથી.
•ફી અંગે સ્પષ્ટતા: જે વિદ્યાર્થીઓને નિયમોના કારણે આગળના સેમેસ્ટરમાં પ્રમોટ કરવામાં નથી આવ્યા, તેમની પાસેથી યુનિવર્સિટી કોઈ ફી લેતી નથી.
રજિસ્ટ્રાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે નિયમ મુજબ જે પાત્ર વિદ્યાર્થીઓ છે, તેમના અભ્યાસને રીશેડ્યુલ કરીને આગળનો અભ્યાસ પૂર્ણ કરાવવામાં આવશે.









