Ahmedabad

અમદાવાદમાં અવિરત વરસાદને પગલે 7 મોત, 42 રસ્તા બંધ થતા ગામડાં સંપર્કવિહોણા

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લામાં 23થી 27 જુલાઈ દરમિયાન અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 7 માનવ અને 18 પશુઓના મોત થયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 2,381 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, જ્યારે 436ને રેસ્ક્યુ કરાયા. SDRF-NDRFની 6 ટીમો તહેનાત છે. 1 નેશનલ, 7 સ્ટેટ હાઇવે સહિત 42 રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં અવિરત વરસાદને પગલે 7 મોત, 42 રસ્તા બંધ થતા ગામડાં સંપર્કવિહોણા

Ahmedabad Rain Havoc: અમદાવાદ જિલ્લામાં ગત 23મી જુલાઈથી શરૂ થયેલો ભારે વરસાદ 27મી જુલાઈ સુધી અવિરતપણે વરસી રહ્યો છે. સતત ચાર દિવસથી વરસી રહેલા આ વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વરસાદી આફત અને તેને લગતી દુર્ઘટનાઓમાં જિલ્લામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 18 પશુઓના પણ મોત થયા છે.

મોટા પાયે રેસ્ક્યુ અને સ્થળાંતર કામગીરી

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર, જિલ્લાના નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 2,381 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણીમાં ફસાયેલા 436 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

હાલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં SDRFની 3 અને NDRFની 3 એમ કુલ 6 ટીમો તહેનાત કરવામાં આવી છે. તંત્ર માટે રાહતની વાત એ છે કે ભારે વરસાદ છતાં જિલ્લાનું એક પણ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું નથી અને તમામ ગામોમાં વીજ પુરવઠો સુચારુ રૂપે ચાલુ છે.

42 રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે જિલ્લાના વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે અને રસ્તાના ધોવાણના કારણે 42 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં એક નેશનલ હાઇવે, સાત સ્ટેટ હાઇવે, 29 પંચાયત હસ્તકના રસ્તા અને પાંચ અન્ય માર્ગોનો સંપર્ક તૂટ્યો છે

મુખ્ય અને આંતરિક રસ્તાઓ બંધ થઈ જતાં અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોને આવન-જાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.