સિનિયર સિટીઝન્સ માટે પોસ્ટ ઓફિસની સ્કીમ: 8.2% વ્યાજ સાથે દર મહિને રૂ. 20,500ની આવક, સમજો કેલ્ક્યુલેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Guaranteed Regular Income After Retirement: જો તમે વરિષ્ઠ નાગરિક છો અને નિવૃત્તિ પછી તમારા માટે દર મહિને નિયમિત આવકની વ્યવસ્થા કરવા માગો છો, તો પોસ્ટ ઑફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર વિકલ્પ છે. આ સરકારી યોજના ખાસ કરીને રિટાયરમેન્ટ પછી મળતી એકમૂઠ્ઠી મૂડીને સંપૂર્ણ સુરક્ષિત રાખવા તેમજ દર 3 મહિને નિશ્ચિત આવક પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે. ભારત સરકારની સંપૂર્ણ ગેરંટી હોવાને કારણે તેમાં જોખમ લગભગ શૂન્ય ટકા રહેલું છે. હાલ આ યોજના પર વાર્ષિક 8.2%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જેની ચૂકવણી દર 3 મહિને કરવામાં આવે છે.
ન્યૂનતમ ₹1000થી મહત્તમ ₹30 લાખ સુધીનું રોકાણ
પોસ્ટ ઑફિસ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમમાં ખાતું માત્ર ₹1000થી પણ ખોલાવી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ મર્યાદા ₹30 લાખ સુધીની છે.
આવક અને વ્યાજનું ગણિત: જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં મહત્તમ ₹30 લાખનું રોકાણ કરે છે, તો 8.2% વાર્ષિક વ્યાજ દર મુજબ દર વર્ષે ₹2,46,000નું વ્યાજ મળે છે.
ત્રિમાસિક હપ્તો: આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક ધોરણે વહેંચવામાં આવતું હોવાથી, દર 3 મહિને ખાતાધારકને ₹61,500નું વ્યાજ મળે છે. જો આ રકમને માસિક દ્રષ્ટિએ વિભાજિત કરીએ તો દર મહિને આશરે ₹20,500ની ગેરન્ટેડ કમાણી થાય છે.
વ્યાજ ક્યારે અને કઈ તારીખે જમા થાય છે?
આ યોજનામાં વ્યાજની રકમ વર્ષમાં 4 ચોક્કસ તારીખોએ સીધી જ ખાતાધારકના ખાતામાં જમા કરવામાં આવે છે:
- 1 એપ્રિલ
- 1 જુલાઈ
- 1 ઑક્ટોબર
- 1 જાન્યુઆરી
આ વ્યાજની રકમ જે-તે પોસ્ટ ઑફિસમાં આવેલા તમારા બચત ખાતામાં જમા થઈ જાય છે.
મહત્ત્વનો નિયમ: જો ખાતાધારક દર 3 મહિને મળતું વ્યાજ ખાતામાંથી ઉપાડતા નથી, તો તે વ્યાજ પર વધારાનું વ્યાજ મળતું નથી. જો આ રકમ સતત 5 વર્ષ સુધી જમા રહેવા દેવામાં આવે તો ₹30 લાખના રોકાણ પર વ્યાજ સહિત પાકતી મુદતે કુલ ₹42,30,000 જેટલી રકમ પરત મળે છે.
મુદત, એક્સટેન્શન અને પ્રી-મેચ્યોર ક્લોઝર
5 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ: આ સ્કીમનો મૂળ પાકતી મુદતનો સમયગાળો 5 વર્ષનો હોય છે.
એકાઉન્ટ એક્સટેન્શન: 5 વર્ષ પૂર્ણ થયા બાદ ખાતાધારક પોતાની મરજી મુજબ આ ખાતાને 3-3 વર્ષના બ્લોકમાં ગમે તેટલી વાર આગળ વધારી શકે છે. જો મુદત ન લંબાવવી હોય તો 5 વર્ષે મૂળ રકમ પરત મેળવી શકાય છે.
સમય પહેલાં ખાતું બંધ કરવાના નિયમ: જો ખાતાધારક 5 વર્ષની મુદત પૂર્ણ થાય તે પહેલાં ખાતું બંધ કરવા ઇચ્છે તો તે કરી શકે છે, પરંતુ તેવા સંજોગોમાં નિયમ મુજબ નિર્ધારિત પેનલ્ટી કપાત કરવામાં આવે છે.
ઇન્કમ ટેક્સ કલમ 80C હેઠળ ટેક્સ બેનિફિટ
આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ આવકમાંથી ₹1.5 લાખ સુધીની કપાતનો લાભ મેળવી શકાય છે. આનાથી ખાતાધારક પોતાની કરપાત્ર વાર્ષિક આવકમાં ₹1.5 લાખ સુધીનો ઘટાડો કરી શકે છે.
કોણ ખોલાવી શકે છે ખાતું?
- સામાન્ય વરિષ્ઠ નાગરિકો: 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી કોઈપણ ભારતીય વ્યક્તિ પોસ્ટ ઑફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકે છે.
- VRS કર્મચારીઓ: સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મચારીઓ, જેમની ઉંમર 55 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય, તેઓ પણ આ ખાતું ખોલાવવા પાત્ર છે.
- ડિફેન્સ નિવૃત્ત કર્મીઓ: સંરક્ષણ દળોમાંથી નિવૃત્ત થયેલા 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ પણ આ યોજનામાં રોકાણ કરી શકે છે.
વિશેષ શરત: VRS કે ડિફેન્સ નિવૃત્ત કર્મચારીઓએ રિટાયરમેન્ટના લાભ મળ્યાના 1 મહિનાની અંદર આ યોજનામાં રોકાણ કરવાનું ફરજિયાત રહે છે.









