Utility

'વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે..', દુકાન પર લખેલા વાક્યથી નથી બદલી જતો તમારો આ અધિકાર

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
બજારમાં 'વેચાયેલો માલ પાછો લેવામાં આવશે નહીં' જેવી શરતો છતાં, ગ્રાહક સુરક્ષા કાયદો-2019 અંતર્ગત તમારા અધિકારો સુરક્ષિત છે. જો ખરીદેલી વસ્તુ ખામીયુક્ત હોય, ગુણવત્તા નબળી હોય કે ખોટી અપાઈ હોય, તો દુકાનદાર રિફંડ, રિપ્લેસમેન્ટ કે વળતર આપવા બંધાયેલો છે. પસંદગી બદલવા પર દુકાનદારની પોલિસી લાગુ પડશે. જો વેપારી ન સાંભળે, તો 1915 હેલ્પલાઇન, ઉમંગ એપ કે ઈ-દાખિલ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે..', દુકાન પર લખેલા વાક્યથી નથી બદલી જતો તમારો આ અધિકાર

Consumer Protection Act 2019: બજારમાંથી ખરીદી કરતી વખતે બિલ પર લખેલી 'વેચાયેલો માલ પાછો લેવામાં આવશે નહીં' (Sold goods will not be returned) જેવી શરતોથી મોટાભાગના ગ્રાહકો પરિચિત હશે. ઘણીવાર ઘરે આવ્યા પછી સામાનમાં કોઈ ખામી કે ખરાબી નીકળે તો ગ્રાહકો બિલ પરની આ શરત વાંચીને એવું માની લે છે કે હવે કાંઈ થઈ શકે નહીં. પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. વેપારી પોતાની રિટર્ન અને એક્સચેન્જ પોલિસી નક્કી કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ તે ગ્રાહક સુરક્ષા કાયદા (Consumer Protection Act, 2019) હેઠળ તમને મળેલા કાનૂની અધિકારોને છીનવી શકતો નથી.

પસંદગી બદલાવી અને ખામીયુક્ત માલ મળવો: બંને અલગ બાબતો

જો તમે કોઈ કપડાં, શૂઝ કે અન્ય વસ્તુ ખરીદી અને ઘરે આવ્યા પછી માત્ર તમારો વિચાર બદલાઈ ગયો (પસંદગી બદલાઈ ગઈ), જ્યારે સામાનમાં કોઈ જ ખામી નથી, તો આવી સ્થિતિમાં દુકાનદાર માલ પાછો લેવા માટે કાયદાકીય રીતે બંધાયેલો નથી. આ કિસ્સામાં દુકાનદારની પોતાની રિટર્ન પોલિસી લાગુ પડશે. પરંતુ જો ખરીદેલા સામાનમાં કોઈ ખામી (Manufacturing Defect) હોય, ગુણવત્તા નબળી હોય, જાહેરાતમાં દર્શાવ્યા મુજબની ન હોય કે ખોટો સામાન આપ્યો હોય, તો બિલ પર માત્ર શરતો લખી દેવાથી દુકાનદાર પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી. આવી સ્થિતિમાં ગ્રાહક રિપેરિંગ, પ્રોડક્ટ રિપ્લેસમેન્ટ, રિફંડ કે વળતર મેળવવા માટે હક્કદાર બને છે.

ડિસ્કાઉન્ટ કે સેલ (Sale)માં ખરીદેલા સામાનના નિયમો

ઘણા વેપારીઓ સેલ કે ડિસ્કાઉન્ટમાં વેચેલી વસ્તુઓ પર 'નો રિટર્ન, નો એક્સચેન્જ'ના પાટિયાં લગાવી દેતા હોય છે. પરંતુ જો સેલમાં ખરીદેલી વસ્તુ પણ ખામીયુક્ત કે ક્ષતિગ્રસ્ત નીકળે, તો ગ્રાહક તરીકે તમારા કાનૂની અધિકારો ખતમ થતા નથી અને તમે તેની સામે પણ ફરિયાદ કરી શકો છો. જોકે, વસ્તુ યોગ્ય હોય અને તમે માત્ર પસંદગી બદલાવાને કારણે તેને પાછી આપવા માગતા હોવ તો જ દુકાનદારની રિટર્ન પોલિસી ધ્યાને લેવાશે.

દુકાનદાર ફરિયાદ ન સાંભળે તો ક્યાં કરવી રજૂઆત?

જો કોઈ ખામીયુક્ત સામાન મળવા છતાં વેપારી કે દુકાનદાર તમારી વાજબી રજૂઆત સાંભળવાની ના પાડે અથવા માલ બદલી આપવાનો ઇનકાર કરે, તો તમે નીચે મુજબના કાનૂની માધ્યમોનો ઉપયોગ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો:

  • નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન: ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરીને સીધી ફરિયાદ નોંધાવી શકાય છે.
  • ઉમંગ એપ (UMANG App): સ્માર્ટફોન યુઝર્સ ઉમંગ એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઇન ફરિયાદ દાખલ કરી શકે છે.
  • ઈ-દાખિલ પોર્ટલ (e-Daakhil Portal): કાનૂની કાર્યવાહી કે કન્ઝ્યુમર કમિશનમાં ઓનલાઇન કેસ દાખલ કરવા માટે ઈ-દાખિલ પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે.