Gujarat

ચોટીલામાં નવા વર્ષથી ચાર દિવસમાં નવ લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

By GS Team
8 Nov 20212 mins read
This article was originally published on 8 Nov 2021
ચોટીલામાં નવા વર્ષથી ચાર દિવસમાં નવ લાખ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

- ભકતોએ માનતા-બાધાઓ પૂર્ણ કરી 

- મા ચામુડાના દર્શન માટે નવા વર્ષથી ભકતોની વહેલી સવારથી લાઇનો લાગી : ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરેન્દ્રનગર : યાત્રાધામ ચોટીલામાં નવા વષે દર્શન માટે ભકતોનું ઘોડાપુર ઉમટયું હતું. ચોટીલામાં બેસતા વર્ષથી કારતકી ચોથ સુધીમાં આશરે ૯ લાખ કરતા વધુ લોકો ચામુડાના માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 

સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલા ખાતે ડુંગર ઉપર બિરાજમાન માતા ચામુંડાના દર્શન કરીને ભાવીકોએ નવા વર્ષની  શરૂઆત કરી હતી. નવા શરૂ થતા વર્ષમાં વિશ્વનું કલ્યાણ થાય, સર્વજીવોની સુખ-શાંતિમાં વધારો થાય, કોરોનાજેવી મહામારીથી સૌ મુકત બને તેવી પ્રાર્થના કરી હતી. બેસતા વર્ષના દિવસે તળેટીથી લઈને ડુંગર સુધી ભાવિકોનો મેળાવડો જોવા મળ્યો હતો ડુંગર ઉપર ભાવીકો માટે  વ્યવસ્થા કરાઈ હતી. પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો આ અંગેની વિગત એવી છે કે, વિ.સં ૨૦૭૮ થી નવા વર્ષનો પ્રારંભ થતા લોકો હાલ દિવાળીના વેકેશનનો લાભ લઈને યાત્રાધામોમાં દર્શન તેમજ વેકેશનની મોજ માણવા માટે જતા આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના યાત્રાધામોમા ગણવામાં આવતુ મુખ્ય પ્રવેશદ્વાર ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન માટે લોકો વાહન તેમજ પગપાળા કરીને ૬૩૫થી વધુ પગથિયાર ચડીને માતાજીના ચરણોમા શીશ ઝુકાવવા માટે ઉમટી પડયા હતા. અને બેસતા વર્ષથી કારતકી ચોથ સુધીમાં આશરે ૯ લાખ કરતા વધુ લોકો માતાજીના ચરણે જઈને ધન્યતા અનુભવી હતી.  પોલીસ સુત્રો પાસેથી મળેલી માહીતી અનુસાર ૨ પોલીસ ઈન્સપેકટર, ૭ સબઈન્સપેકટર સહિત કુલ ૧૮૫ જેટલા પોલીસ જવાનો માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને કાયદો વ્યવસ્થા બરાબર જળવાઈ રહે તે માટે વહેલી સવારથી મોડી રાત સુધી ખડેપગે રહીને ફરજ બજાવી હતી.