Gujarat

ઝાલાવાડ પંથકમાં લગ્નોની સિઝનમાં ફૂલોના ભાવમાં બમણો વધારો

By GS Team
5 Feb 20222 mins read
This article was originally published on 5 Feb 2022
ઝાલાવાડ પંથકમાં લગ્નોની સિઝનમાં ફૂલોના ભાવમાં બમણો વધારો

- વસંત પંચમીએ ફુલોનો  વેપાર પૂર બહાર ખિલ્યો 

- ગુલાબના ભાવ રૂ. 120 અને ગલગોટાના રૂ. 90 એ પહોંચ્યા લગ્નમાં ગાડીનો શણગારનો ખર્ચે રૂપિયા ૫ાંચ હજાર થયો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે આજે વસંતપંચમીએ અનેક લગ્નો હોવાથી ફુંલોની માંગ વધી હતી અને પુષ્પોની કિંમતમાં વધારો થતા લગ્ન સમારંભોમાં ફુલોને શણગાર કરવાનું મોંઘુ પડી રહયું છે. ફુલોની આવક ઘટતા ભાવો વધ્યા હોવાનું જાણવા મળે છે. 

લગ્નની મોસમ દરમિયાન ફુલોની માંગમાં વધારો થતો હોય છે વરરાજાની કારનો શણગાર, લગ્નની ચોરીનો શણગાર, હાર વિગેરેમાં સાચા ફુલોનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. ચાલુ વર્ષે વસંત પંચમીના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લગ્ન હતા. તેથી ગુલાબ, ગલગોટા, સહીતના ફુલોની માંગમાં વધારો થતાં ભાવો રોકેટગતિએ વધ્યા હતા. ગુલાબના ભાવમાં રૂા.૧૨૦ અને ગલગોટાના ભાવમાં રૂા.૯૦ નો વધારો જોવા મળતો હતો. આથી લગ્નોમાં અસલી ફુલોની શણગાર મોંઘો બનતા આયોજકોમાં કચવાટ અને ચિંતાની લાગણી જોવા મળતી હતી. વેપારીઓના કહેવા મુજબ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે ફુલોના ભાવ સૌથી ઉંચા રહયા છે.  આ વર્ષે દેશમાં ફેલોની ખેતી કરતા વિસ્તારોમાં માવઠાને કારણે ફુલોનો પાક ઓછો થતા ફુલ બજારમાં આવક ઘણી ઓછી છે. તેથી ભાવ ડબલ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.  લગ્નમાં વરરાજાની ગાડી અસલી ફેલોથી શણગારવાનો ખર્ચ અગાઉ રૂા. ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલો થતો હતો તે આ વર્ષે રૂા.૫૦૦૦ જેટલો થઈ રહયો છે. જો કે ભાવો ઉંચા હોવા છતાં ફુલોની માંગમાં ખાસ ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહયા છે.