સુરેન્દ્રનગર તા. 15 જૂન 2019, શનિવાર
ધ્રાંગધ્રાના કચ્છનું નાનુ રણમાં આવેલ ઘુડખર અભ્યારણ્યમાં વિદેશી પક્ષી તેમજ ઘુડખરને જોવા હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. ત્યારે હાલ ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પીરીયડ શરૂ થવાનો હોય ખલેલ ન પડે તે માટે આગામી તા.૧૫ ઓક્ટોબર સુધી વાન વિભાગ દ્વારા ઘુડખર અભ્યારણ્યને બંધ કરવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચો.કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે ત્યારે રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. જેને જોવા માટે સમગ્ર રાજ્ય સહિત દેશમાંથી હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. હાલ ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે અને રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે તેને જોવા માટે પણ પક્ષીપ્રેમીઓ ઉમટી પડે છે. ત્યારે ઘુડખરનાં બ્રીડીંગ પીરીયડ દરમ્યાન ચારથી પાંચ મહિના અભ્યારણ્ય બંધ રાખવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ તા. ૧૫ જુન થી અભ્યારણ્ય બંધ કરવામાં આવતાં પર્યટકોને પાંચ મહિના સુધી રાહ જોવી પડશે.
ઘુડખર માત્ર નાના રણમાં જોવા મળે છે
રણમાં આવેલ ઘુડખર દુર્લભ્ય પ્રાણી છે અને બીજે કયાંય જોવા મળતું નથી ત્યારે કચ્છના નાના રણમાં છેલ્લે થયેલ ગણતરી મુજબ અંદાજે ૪,૫૦૦ જેટલી ઘુડખરની સંખ્યા નોંધાઈ છે.
જેને જોવા માટે દર વર્ષે વિદેશીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે ત્યારે ગત વર્ષે પણ ૨૦ હજારથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ૩૫ લાખથી વધુ આવક થઈ હતી.
બ્રીડીંગ પીરીયડ દરમ્યાન વિક્ષેપ ન પડે તે માટે અભ્યારણ્ય બંધ રહેશે
ઘુડખર વિશેષ લક્ષણો ધરાવે છે અને દુર્લભ્ય માનવામાં આવે છે ત્યારે કચ્છના નાન રણ સિવાય ભાગ્યે જ ઘુડખરો જોવા મળે છે પરંતુ તેઓના બ્રીડીંગ પીરીયડ દરમ્યાન વિક્ષેપ ન પડે તે માટે દર વર્ષે ચોમાસા દરમ્યાન અભ્યારણ્ય બંધ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા.૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્ય બંધ કરવામાં આવ્યું છે. આથી હવે પર્યટકોને પાંચ મહિના સુધી ઘુડખરને જોવા રાહ જોવી પડશે.


