નેપાળ પૂર હોનારત: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના 3 સભ્યો ગુમ, રડતી આંખે વૃદ્ધ માતાની મદદ માટે પોકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Flood: નેપાળ-તિબેટ સરહદે આવેલા ભયાનક પૂર અને તારાજી વચ્ચે ગુજરાતના અનેક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ફસાયા છે. જેમાં સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો પણ લાપતા થતાં પરિવાજનોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. સુરત મૂળના પરેશ નટવરલાલ પટેલ, તેના પત્ની જ્યોતિબહેન પરેશ પટેલ (બંને US નિવાસી) અને તેની દીકરી મીનાક્ષીબહેન રામાણી (મુંબઈ નિવાસી) માનસરોવર યાત્રા દરમિયાન નેપાળ-તિબેટ સરહદે સંપર્ક વિહોણા બન્યા છે.
23મી ઓગસ્ટે છેલ્લી વાત થઈ હતી

મળતી માહિતી મુજબ, પરેશ પટેલ અને જ્યોતિબહેન 20મી ઓગસ્ટે યુએસથી નેપાળ ફરવા અને માનસરોવર યાત્રા માટે પહોંચ્યા હતા. જ્યારે તેમની દીકરી મીનાક્ષીબહેન 22મી ઓગસ્ટે મુંબઈથી નેપાળ પહોંચીને તેમની સાથે જોડાઈ હતી. પરિવારના સભ્ય અને વૃદ્ધ માતા સુશીલાબહેન પટેલે જણાવ્યું કે, 'અમારી તેમની સાથે છેલ્લી વાતચીત 23મી ઓગસ્ટે થઈ હતી. આ દરમિયાન તેઓ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને તિબેટ સરહદ તરફ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. ત્યાર બાદથી તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને કોઈ સંપર્ક થઈ શક્યો નથી.'
નેપાળ-તિબેટ સરહદે નેટવર્ક ઠપ, તલાશી અભિયાન તેજ
અધિકૃત વિગતો અનુસાર, આ પરિવાર 'રિચા ટુર્સ' (Richa Tours Nepal) મારફતે રસુવાગઢી-કેરુંગ (Rasuwagadhi-Kerung) રૂટ પરથી કૈલાશ માનસરોવર યાત્રા કરી રહ્યો હતો. 26મી ઓગસ્ટે તિબેટ ક્ષેત્રમાં થયેલા ભારે ભૂસ્ખલન અને ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂરને કારણે કેરુંગ સરહદ અને ફ્રેન્ડશિપ બ્રિજ આસપાસના રસ્તાઓ ધોવાઈ ગયા છે તેમજ ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક સાવ ઠપ થઈ ગયું છે.

વૃદ્ધ માતાની સરકારને આજીજી
ઘરમાં સંતાનોના કોઈ સમાચાર ન મળતા સુશીલાબેન પટેલ અને તેમનો પરિવાર ભારે આઘાતમાં છે. તેમણે સરકાર અને ભારતીય દૂતસચિવાલય (Indian Embassy) પાસે અપીલ કરી છે કે નેપાળ પ્રશાસન સાથે સંકલન સાધીને તેમના પરિવારના ત્રણેય સભ્યોને સહીસલામત શોધીને પરત લાવવામાં આવે.
હાલમાં ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને વિદેશ મંત્રાલય દ્વારા નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ માટે હેલ્પલાઈન કાર્યરત કરી હાઈ-એલ્ટિટ્યૂડ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.




