સુરતમાં વરસાદના વિઘ્ન વચ્ચે દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલ નગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganeshotsav : સુરતમાં ગણેશોત્સવ પહેલાંની વહેલી સવારથી જ વરસાદ તુટી પડ્યો હતો વહેલી સવારથી શુ થયેલો વરસાદ દિવસ દરમિયાન જોવા મળ્યો હતો. આ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. ભારે વરસાદ વચ્ચે પણ ગણેશ ભક્તોની શ્રદ્ધા ડગી ન હતી અને ભારે વરસાદ વચ્ચે પણ શહેરના ઘર- ગણેશ મંડપમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના વિધિવત કરવામાં આવી હતી. શહેરના અનેક ગણેશ મંડપમાં શ્રીજીની પ્રતિમાને વરસાદથી બચાવવા તાડપત્રી-પ્લાસ્ટિકનો સહારો લેવાયો હતો.
મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશોત્સવની ધુમ જોવા મળી રહી છે અને તેની સાથે જ આજે સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. આજે વહેલી સવારથી સુરતમાં ભારે વરસાદ વચ્ચે જ ઘર અને મંડપમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના શરૂ થઈ ગઈ છે. ગણેશ ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલ નગારા સાથે કરી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને હવે ગણેશોત્સવ દરમિયાન બાપાની ભક્તિ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદના જોર વચ્ચે ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ગણેશજીની સ્થાપના કરતાની સાથે જ સુરત ગણપતિમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
સુરતમાં આ વર્ષે પણ 80 હજારથી પણ વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. લોકોએ પોતાના ઘર, રહેણાંક સોસાયટી ઉપરાંત સંખ્યાબંધ મોટા ગણેશ આયોજકો દ્વારા ગણપતિ ઉત્સવ માટે લાબા સમયથી તૈયારી કરી હતી અને આજે ગણેશ ચતુર્થીના દિવસે બાપાની હર્ષ અને ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે સ્થાપના કરી હતી. જોકે, આજે વિધ્નહર્તાની સ્થાપના પહેલા જ વરસાદનું વિઘ્ન આવ્યું હતું. શનિવાર રાત્રીથી શરૂ થયેલો વરસાદ રવિવારે તુટક તુટક પડ્યો હતો પરંતુ સોમવારે સવારે વરસાદનુંજોર વધ્યું હતું છતાં ગણેશ ભક્તોનો ઉત્સાહ ઉમંગ ઘટ્યો ન હતો. ગણપતિ બાપ્પાના આગમન સમયે "ગણપતિ બાપ્પા મોરિયા"ના ઉલ્લાસભેર નારા ગુંજતા શહેરમાં તહેવારની રંગત જમાવી દીધી છે. સુરતના અનેક સોસાયટી, સાર્વજનિક મંડળ અને સંસ્થાઓએ વિશાળ મંડપ ઉભા કરી આ તહેવારને જીવંત બનાવી દીધો છે. આજની સ્પાના બાદ દસ દિવસ સુધી ગણેશ મંડપમાં વિવિધ પૂજા સાથે છપ્પન ભોગ અને સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવશે. દસ દિવસની બાપાની ભક્તિ માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
જોકે, આજે વરસાદી જોર વચ્ચે ગણેશ આયોજકોએ ભગવાનની પ્રતિમાને વરસાદથી બચાવવા માટે મંડપ પર પતરા સાથે પ્લાસ્ટીક અને તાડપત્રીનો સહારો લીધો હતો. વરસાદનું જોર હોવા છતાં પણ વહેલી સવારથી જ ગણેશજીની સ્થાપના શ્રધ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
રવિવારે સાજથી શરૂ થયેલી આગમન યાત્રા વહેલી સવાર સુધી જોવા મળી હતી
સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે બાપાના આગમન સાથે સુરત શહેર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું છે. સંખ્યાબંધ ગણેશ મંડળોએ ગઈકાલે રાત્રે શહેરના રસ્તાઓ પર શોભાયાત્રા કાઢી હતી તેના કારણે સુરત ઝગમગી ઉઠ્યું હતું. રાત્રીના શહેરના કોટ વિસ્તારના અનેક રસ્તાઓ ગણેશ આગમનના કારણે બંધ થઈ ગયા હતા. ગઈકાલે સાંજે પણ વરસાદનું જોર હોવાથી ગણેશ આયોજકોએ આગમન યાત્રામાં ગણેશજીની પ્રતિમાને બચાવવા પ્લાસ્ટિક અને છત્રીનો સહારો લીધો હતો.




