Virat Kohli News : ભારતીય ક્રિકેટ ટીમને આગામી 13 જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે ઇન્ટરનેશનલ સીરિઝ પહેલા એક મોટો આંચકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈન્જરી (Hamstring Injury) ના કારણે આ આગામી વનડે સીરિઝમાંથી બહાર થઈ ગય? છે. અહેવાલ અનુસાર, કોહલીને આ ઈજા તાજેતરમાં જ સમાપ્ત થયેલી આઈપીએલ 2026ની ફાઈનલ મેચ દરમિયાન થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વિરાટ કોહલીની અફઘાનિસ્તાન સામેની સીરિઝ માટે અગાઉથી જ ટીમમાં પસંદગી થઈ ચૂકી હતી, તેથી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટૂંક સમયમાં જ તેમના રિપ્લેસમેન્ટ (વૈકલ્પિક ખેલાડી) ની જાહેરાત કરવી પડશે. જોકે, હજુ સુધી આ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ એક સૂત્રએ જાણીતી મીડિયા એજન્સી સામે આ મામલે ફોડ પાડ્યો હોવાની ચર્ચા છે.
ક્યારે થઈ વિરાટને આ ઈજા?
આઈપીએલ 2026ની ફાઈનલ મેચ દરમિયાન વિરાટ કોહલીએ અંત સુધી બેટિંગ કરીને મેચ ફિનિશ કરી હતી, પરંતુ મેચ દરમિયાન બ્રેક વખતે તેઓ મેદાન પર સૂઈને ફિઝિયો પાસેથી ટ્રીટમેન્ટ લેતા જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તે જ સમયે તેમને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી અથવા ત્યારબાદ ટ્રેનિંગ સેશન દરમિયાન આ ઈજા વધી ગઈ હોઈ શકે છે. આઈપીએલ પૂરી થયા બાદ કોહલી વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શને ગયો હતો અને ત્યાંથી દિલ્હી થઈને મુંબઈ રવાના થઇ ગયો હતો.
કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર પણ સવાલ
કોહલી સિવાય ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પણ ચિંતાનો વિષય બનેલી છે. રોહિતને આ સીરિઝ માટે ટીમમાં પસંદ તો કરાયો છે, પરંતુ તે આઈપીએલની છેલ્લી કેટલીક મેચોમાં માત્ર 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે રમ્યો હતો અને ઘણી મેચો તેણે મિસ પણ કરી હતી.
IPL 2026 માં વિરાટનું દમદાર પ્રદર્શન
વિરાટ કોહલી માટે આઈપીએલ 2026ની સીઝન શાનદાર રહી હતી. આરસીબી (RCB) તરફથી રમતા તેણે 16 મેચોમાં 1 સદી સાથે 675 રન બનાવ્યા હતા. ફાઈનલ મેચમાં અણનમ 75 રનની શાનદાર ઈનિંગ રમીને તેઓ 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો અને ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવી હતી. નોંધનીય છે કે વિરાટ કોહલી ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે માત્ર વનડે ફોર્મેટ જ રમે છે. તેવામાં ફેન્સ તેને ફરી બ્લુ જર્સીમાં જોવા આતુર હતા, પરંતુ હવે ઈજાના કારણે તેણે આ સીરિઝ ગુમાવવી પડી છે.


