ટીમ ઈન્ડિયાની 'ગંભીર' મુશ્કેલી: ઝિમ્બાબ્વે સામે જીત બાદ શ્રેયસે એવું શું કહ્યું કે ફેન્સે ગૌતમ ગંભીર પર સાધ્યું નિશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Team India 'Gambhir' issue: આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડમાં T20 સીરિઝ ગુમાવ્યા બાદ શ્રેયસ અય્યરે આખરે જીતનો સ્વાદ ચાખ્યો અને ઝિમ્બાબ્વેના 3-0થીસૂપડા સાફ કર્યા. આ જીત બાદ ડ્રેસિંગ રૂમનો એક વીડિયો ચર્ચાનો વિષય બની ગયો છે, જેમાં વચગાળાના મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ અને કેપ્ટન શ્રેયસ અય્યર એકબીજાના ભરપૂર વખાણ કરતા નજર આવ્યા. શ્રેયસે ટીમને સંભાળવા અને યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાનો શ્રેય લક્ષ્મણને આપ્યો. જોકે, તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સે સ્થાયી હેડ કોચ ગૌતમ ગંભીરની કાર્યશૈલી સાથે સરખામણી કરવાનું શરૂ કરી દીધું અને તેમને લઈને તીખી પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો…
શ્રેયસ અને લક્ષ્મણે એક-બીજાની પ્રશંસા કરી
વાસ્તવમાં ભારતના નવા T20 કેપ્ટન શ્રેયસ અય્યર અને વચગાળાના મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણે ઝિમ્બાબ્વે સામે મળેલી 3-0ની જીતમાં એકબીજાની ભૂમિકાની સરાહના કરી. ભારતે આ સીરિઝમાં અપેક્ષાકૃત નવી ટીમ ઉતારી હતી, જેમાં સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા જેવા અનેક ખેલાડીઓ સામેલ નહોતા. ભારતે રવિવારે ત્રીજી અને અંતિમ T20 મેચમાં 35 રને જીત મેળવીને સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતે પ્રથમ મેચ સાત વિકેટે અને બીજી T20 90 રને જીતી હતી. ત્રીજી T20માં જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં લક્ષ્મણે અય્યરની મજબૂત માનસિકતાની પ્રશંસા કરી છે.
લક્ષ્મણે શ્રેયસની કેપ્ટનશીપની પ્રશંસા કરી
- લક્ષ્મણે આ મહિનાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે મળેલી 0-4ની હારનો ઉલ્લેખ કરતા કહ્યું, 'હું શ્રેયસને ખાસ અભિનંદન આપવા માંગુ છું, કારણ કે તેના કેપ્ટન્સી કરિયરની શરૂઆત થોડી મુશ્કેલ રહી, પરંતુ જે રીતે તેમણે વાપસી કરી તે શાનદાર હતી. તે પ્રથમ મેચના એક દિવસ પહેલા જ્યારે આપણી સાથે જોડાયા અને ત્યારથી જ જીત માટે આશ્વસ્ત હતા.'
- તેમણે આગળ કહ્યું કે, 'આ ટીમમાં ઘણા નવા ખેલાડીઓ સામેલ હતા. આપણે જાણીએ છીએ કે ઈંગ્લેન્ડમાં રમનારા ખેલાડીઓમાંથી માત્ર ચાર કે પાંચ જ આ પ્રવાસમાં આપણી સાથે સામેલ હતા, છતાં તેઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા. જે રીતે કેપ્ટને આપ સૌને પ્રેરિત કર્યા, તેને જોતાં આ જીતનો ઘણો ખરો શ્રેય કેપ્ટનને જાય છે.'
અય્યરે પણ લક્ષ્મણનો આભાર માન્યો
- ત્યારબાદ અય્યરે લક્ષ્મણનો આભાર વ્યક્ત કર્યો, જેમને હેડ કોચ ગૌતમ ગંભીરને આરામ આપવામાં આવ્યા બાદ આ પ્રવાસ માટે વચગાળાના કોચ નિયુક્ત કરવામાં આવ્યા હતા. અય્યરે કહ્યું, 'આ સીરિઝમાં કેટલીક કેચ છોડવા સિવાય આપણું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું. સપોર્ટ સ્ટાફ સહિત ટીમના દરેક સભ્યએ આ જીતમાં પોતાનું યોગદાન આપ્યું છે.'
- તેણે કહ્યું કે, 'અમને પ્રેરિત કરવા અને અમારો ઉત્સાહ વધારવા માટે વીવીએસ સર તમારો ખૂબ-ખૂબ આભાર. દરરોજ જ્યારે અમે મેદાન પર પગ મૂકતા હતા, ત્યારે મને લાગતું હતું કે તમે જે પણ કંઈ કહ્યું તે બિલકુલ યોગ્ય હતું અને અમે તેની સાથે જોડાણ અનુભવી શકતા હતા. એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર.'
ફેન્સે સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યું નિવેદન
શ્રેયસના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવી ગયુ છે. ફેન્સે આને ગંભીર સાથે જોડતા કહ્યું કે, આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડમાં ગંભીર કોચ હતા ત્યારે ભારતીય ટીમ T20 સીરિઝમાં એક પણ મેચ નહોતી જીતી શકી.' આયર્લેન્ડે ભારતને 2-0થી અને ઈંગ્લેન્ડે પાંચ મેચની સીરિઝમાં 4-0થી હરાવ્યું હતું. ત્યારબાદ ગંભીર સહિત નવા કેપ્ટન શ્રેયસની ભારે ટીકા થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમ વન-ડે સીરઝ પણ 2-1થી ગુમાવી બેઠી હતી.









