'અમને ખબર જ હતી..', મેચ બૉયકોટ વિવાદમાં પાકિસ્તાનની ગુલાંટ અંગે ટીમ ઇન્ડિયાની પહેલી પ્રતિક્રિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચને લઈને ચાલી રહેલો વિવાદ આખરે ઠાળે પડ્યો છે. પાકિસ્તાન સરકારે તેમના અગાઉના બહિષ્કારના નિર્ણય પર 'યુ-ટર્ન' લેતા હવે ભારત સામે રમવા માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. હવે ભારત સામેની મેચ બૉયકોટ વિવાદમાં પાકિસ્તાનની ગુલાંટ અંગે ટીમ ઇન્ડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોશેટે કહ્યું કે, 'અમને ખબર જ હતી કે, આ મેચ થશે જ.'
ડોશેટની આ ટિપ્પણીથી એ સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનની 'ફિતરત'થી બિલકુલ વાકેફ હતા. ગીધડ ધમકી, હાઇ-વોલ્ટેજ ડ્રામા એક રીતે પાકિસ્તાનનો ટ્રેડ માર્ક બની ગયો છે. આ અગાઉ એશિયા કપમાં પણ પાકિસ્તાને હેન્ડ શેક કન્ટ્રોવર્સી બાદ ટુર્નામેન્ટના બહિષ્કારની ધમકી આપી દીધી હતી પરંતુ ખૂબ નાટકો અને તેવર દેખાડ્યા બાદ અંતે તેમણે યુ-ટર્ન લેવો પડ્યો હતો.
ખેલાડીઓને બિલકુલ હેરાની ન થઈ: ડોશેટ
ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોશેટે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ગુલાંટ પર કહ્યું કે, 'આનાથી ખેલાડીઓને બિલકુલ હેરાની નથી થઈ. ખેલાડીઓને ખબર જ હતી કે મેચ થશે જ.' T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ છે.
ડોશેટે આગળ કહ્યું કે, 'સૌથી પહેલા તો એ સારી બાબત છે કે, મેચ થશે. અમે ક્યારેય પોતાની તૈયારીઓને લઈને ફેરફાર નહોતો કર્યો અને અમે ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મેચ નહીં થશે. અમને હંમેશાથી ખબર જ હતી કે કંઈક એવું થશે અને અમે મેચ રમીશું, તેથી અમે કોઈ ફેરફાર નહોતો કર્યો.'
ડોશેટે કહ્યું કે, 'અમને સોમવારે મોડી રાત્રે કન્ફર્મેશન મળ્યું. અમે એક ક્વોલિટી ટીમ સાથે ફરી એક વાર રમવાની તક મળવાનું સ્વાગત કરીએ છીએ અને તે ટીમ માટે સારું છે.'
અમારું ફોકસ માત્ર ક્રિકેટ પર
ટીમ ઇન્ડિયાના આસિસ્ટન્ટ કોચે આગળ કહ્યું કે, 'અમે દરેક પ્રકારની રાજનીતિથી દૂર રહેવાનો પ્રયાસ કરીએ છીએ. અમે બંને દેશોના ઇતિહાસ અને સેન્ટિમેન્ટ્સને સમજીએ છીએ પરંતુ અમારા માટે વિશુદ્ધ રૂપે ક્રિકેટ પર ફોકસ રાખવું વધુ મહત્ત્વપૂર્ણ છે. કોલંબામાં રમવું એક પડકાર છે, ખાસ કરીને ત્યારે જ્યારે પાકિસ્તાન ત્યાં કેટલાક અઠવાડિયાથી છે, પરંતુ અમારું ફોકસ આગામી મેચમાં અમારું બેસ્ટ આપવા પર છે.'
હાઇ પ્રોફાઇલ મેચના વિવાદનો અંત
T20 વર્લ્ડ કપ 2026ના સૌથી હાઇ પ્રોફાઇલ મેચના વિવાદનો અંત આવી ગયો છે. હવે ભારત પાકિસ્તાનની મેચ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાશે. રવિવારે લાહોરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં ICCની કૂટનૈતિક જીત થઈ છે. પાકિસ્તાન ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે.









