Mohammad Amir Statement on Team India | ટી20 વિશ્વ કપ 2026માં ભારતીય ટીમની શાનદાર સફળતા અને સેમિ ફાઈનલમાં પ્રવેશ બાદ પાકિસ્તાની ખેમામાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભારત સામે મળેલી કરારી હાર અને સુપર-8માંથી પાકિસ્તાનનું પત્તું કપાઈ જતાં હવે પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે.
આમિરનું ફરી વિવાદિત નિવેદન
આ કડીમાં પાકિસ્તાનનો પૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિર ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મહત્વની મેચ બાદ આમિરે સંજુ સેમસનની ઇનિંગની પ્રશંસા તો કરી, પરંતુ સાથે જ ભારતીય ટીમની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવીને નવો વિવાદ છેડ્યો છે.
સંજુના કર્યા વખાણ પણ ટીમ ઈન્ડિયાની કરી ટીકા
મોહમ્મદ આમિરે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, સંજુ સેમસને તેના જીવનની સૌથી શાનદાર ઇનિંગ રમી છે, પરંતુ એક વ્યક્તિગત પ્રદર્શન ટીમની ખામીઓને છુપાવી શકતું નથી. આમિરના મતે ભારતીય ટીમ હજુ પણ સંતુલિત ક્રિકેટ રમી રહી નથી. તેણે ભારતની ફિલ્ડિંગ અને બોલિંગ પર પ્રહાર કરતા કહ્યું કે, જસપ્રીત બુમરાહને બાદ કરતાં બાકીના બોલરો રન લૂંટાવી રહ્યા છે અને ફિલ્ડરો કેચ છોડી રહ્યા છે.
અગાઉ કરી હતી હારની ભવિષ્યવાણી
નોંધનીય છે કે, આમિરે અગાઉ આગાહી કરી હતી કે ભારત સેમિ ફાઈનલમાં નહીં પહોંચે, પરંતુ ભારતની જીત બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ રહી છે. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે પાકિસ્તાન ભલે બહાર થઈ જાય, પરંતુ ભારત ક્વોલિફાય થવું જોઈએ નહીં. હવે જ્યારે ભારત 5 માર્ચે મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલ રમવાનું છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની નજર આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પર છે. આમિરના આક્ષેપોમાં કેટલો દમ છે તે ઈંગ્લેન્ડ સામેના પ્રદર્શનથી સાબિત થઈ જશે. એક તરફ ભારતીય ફેન્સ ટીમની જીતની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાની ખેલાડીઓની આ પ્રકારની નિવેદનબાજી તેમની હતાશા સ્પષ્ટપણે દર્શાવી રહી છે.


