IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે ટીમના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. સંજુએ IPL 2026માં અત્યાર સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. T20 વર્લ્ડ કપ 2026માં સતત ત્રણ અર્ધશતક ફટકારનાર સેમસન IPLમાં પોતાની લય જાળવી શક્યો નથી. CSK માટે ડેબ્યૂ સીઝન રમી રહેલા સેમસને શરૂઆતની બે મેચમાં માત્ર 6 અને 7 રન બનાવ્યા છે, જે બાદ સંજુના ફોર્મ પર સવાલો ઉઠવા લાગ્યા છે.
દરેક મેચમાં રન બનાવી ન શકે: CSKના કોચ
જો કે કોચ ફ્લેમિંગે આ તમામ ચર્ચાઓને ફગાવી દેતા કહ્યું કે, 'તે દરેક મેચમાં રન બનાવી શકતો નથી. આ T20 ક્રિકેટ છે. પંજાબ સામે તે કટ આઉટ થયો હતો. પરંતુ તે સારા ફોર્મમાં છે, પ્રેક્ટિસ પણ શાનદાર કરી રહ્યો છે. જ્યારે તે ફોર્મમાં આવે છે, ત્યારે તે મેચ વિનર સાબિત થાય છે. માત્ર બે ઇનિંગ્સથી કોઈ ખેલાડીને જજ કરી શકાય નહીં.'
બે મેચમાં સેમસન સસ્તામાં આઉટ
સેમસનની શરૂઆત સારી રહી નથી. પોતાની પૂર્વ ટીમ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તે ડાબોડી ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગરના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ પંજાબ સામેની મેચમાં તેણે ઝેવિયર બાર્ટલેટના બોલ પર વિકેટકીપર પ્રભસિમરનને કટ આઉટ કેચ આપી દીધો હતો.
કેપ્ટન ગાયકવાડ પણ ફ્લોપ
માત્ર સેમસન જ નહીં, ચેન્નાઈનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રાજસ્થાન સામે તે જોફ્રા આર્ચરના બોલ પર માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પંજાબ સામે 22 બોલમાં 28 રન બનાવ્યા બાદ યુઝવેન્દ્રનો શિકાર બન્યો હતો.
આયુષ મ્હાત્રેએ દમ બતાવ્યો
જ્યાં સિનિયર બેટ્સમેનો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યાં યુવા બેટર આયુષ મ્હાત્રેએ પોતાની છાપ છોડી છે. રાજસ્થાન સામે 'ગોલ્ડન ડક' પર આઉટ થયા બાદ તેણે પંજાબ સામે શાનદાર વાપસી કરી હતી અને 43 બોલમાં 73 રન ફટકાર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા.
CSK હવે આવતીકાલે 5 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ટકરાશે, જેની કેપ્ટનશીપ રજત પાટીદાર કરી રહ્યા છે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. સેમસનનો RCB સામેનો રેકોર્ડ ખાસ રહ્યો નથી. તેણે 24 ઇનિંગ્સમાં 21.04ની સરેરાશ અને 136.33ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. જો કે તેના નામે ત્રણ અર્ધશતક છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 2018માં અણનમ 92 રન રહ્યો હતો. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું સેમસન આ મહત્વના મુકાબલામાં પોતાના ફોર્મમાં વાપસી કરી શકે છે કે નહીં?


