Sports

T20માં ભારતનો સૌથી મોટો પરાજય, ઈંગ્લેન્ડના 201 રનના લક્ષ્ય સામે ટીમ ઈન્ડિયા 76 રનમાં ધરાશાયી

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
નોટિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામેની 3જી T20 મેચમાં ભારતને 125 રને શરમજનક હાર મળી. ઇંગ્લેન્ડે 201 રન કર્યા, જેમાં સોલ્ટના 70 અને કરનના 41 રન હતા. જવાબમાં ભારત માત્ર 76 રનમાં ઓલઆઉટ થયું. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આ T20 ઇતિહાસમાં ભારતની સૌથી મોટી હાર છે, જેનાથી શ્રેણી જીતવાની આશા સમાપ્ત થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

T20માં ભારતનો સૌથી મોટો પરાજય, ઈંગ્લેન્ડના 201 રનના લક્ષ્ય સામે ટીમ ઈન્ડિયા 76 રનમાં ધરાશાયી

IND vs ENG 3rd T20I: ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને આ ફોર્મેટની અત્યાર સુધીની સૌથી શરમજનક અને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રને હરાવીને 5 મેચોની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આ હાર સાથે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે, હવે ભારત માત્ર આ શ્રેણી ડ્રો કરાવી શકે તેમ છે.

ટોસ હારીને ઇંગ્લેન્ડનો સ્કોર 200ને પાર
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ઓપનર ફિલ સોલ્ટની દમદાર 70 રનની (44 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) ઇનિંગ અને કેપ્ટન જોસ બટલરના 36 રનની મદદથી ઝડપી શરૂઆત કરી હતી. અંતિમ ઓવરોમાં સેમ કરને 24 બોલમાં અણનમ 41 રન ફટકારીને ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 201 રન સુધી પહોંચાડ્યો હતો. ભારત તરફથી પ્રિન્સ યાદવ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ ઝડપી હતી.

તાશના પત્તાની જેમ વિખેરાઈ ભારતીય બેટિંગ
202 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પેસ એટેક સામે માત્ર 11.4 ઓવરમાં જ 76 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી હાર છે. આ પહેલા 2019માં ન્યૂઝીલેન્ડે ભારતને 80 રને હરાવ્યું હતું. આ ઉપરાંત, 76 રન એ ભારતનો T20માં બીજો સૌથી ઓછો સ્કોર છે (સૌથી ઓછો સ્કોર 2008માં 74 રન છે).

કોઈ બેટ્સમેન 15 રન પણ ન બનાવી શક્યો
ભારતનો કોઈ પણ બેટ્સમેન 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ડેબ્યુટન્ટ વૈભવ સૂર્યવંશીએ 5 બોલમાં 2 છગ્ગા સાથે 13 રન અને ઇશાન કિશને 13 રન બનાવ્યા હતા. કેપ્ટન અય્યર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 4 વિકેટ અને જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. આર્ચરને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. હવે શ્રેણીની આગામી મેચો 9 અને 11 જુલાઈએ રમાશે.