Hardik Pandya to CSK? Badrinath Proposes Swap Trade: IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ પોઈન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને રહી છે. આ નિષ્ફળતા બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અને ટીમમાં તેના ભવિષ્ય પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે, પૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે એક એવો ટ્રેડ આઈડિયા આપ્યો છે જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
હાર્દિક પંડ્યાના બદલામાં MIએ શિવમ દુબે અને આયુષ મ્હાત્રે માંગવા જોઈએ: ટ્રેડ આઇડિયા
બદ્રીનાથે સૂચન કર્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટ્રેડ કરવો જોઈએ. આ પ્લાન મુજબ, હાર્દિક પંડ્યાના બદલામાં મુંબઈ ઈન્ડિયન્સને CSK પાસેથી શિવમ દુબે અને આયુષ મ્હાત્રે મળી શકે છે. બદ્રીનાથના મતે, હાર્દિકનું આગમન CSKની બ્રાન્ડને એક અલગ જ સ્તર પર લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે, જો હું MI હોત, તો હું હાર્દિકને શિવમ દુબે અને આયુષ મ્હાત્રેના બદલામાં ટ્રેડ કરત. સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ અને હાર્દિક પંડ્યાની ત્રિપુટી CSKને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
શું હાર્દિક બનશે CSKનો કેપ્ટન?
બદ્રીનાથે વધુમાં ઉમેર્યું કે હાર્દિક અને એમ.એસ. ધોની વચ્ચેના સારા સંબંધોને જોતા, જો હાર્દિક કેપ્ટનશીપની માંગ કરે તો તે CSKમાં કેપ્ટન પણ બની શકે છે.
MI મેનેજમેન્ટનો મત- રોહિત શર્માને હટાવવાની ભૂલ ભારે પડી!
સ્પોર્ટ્સ મીડિયા અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ પરથી હટાવવાની તૈયારીઓ ચાલી રહી છે, એટલું જ નહીં, મેનેજમેન્ટ સાથેના ખરાબ સંબંધોને કારણે તે ટીમ છોડવાનું વિચારી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે 2026ની સીઝનમાં 14માંથી માત્ર 4 મેચ જીતી છે. આ નિષ્ફળતા બાદ હવે ફ્રેન્ચાઇઝી પોતાની ભૂલ સુધારવા માંગે છે. 2024માં રોહિત શર્માને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવો એ નિર્ણય ટીમ માટે ઘાતક સાબિત થયો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સનું મેનેજમેન્ટ આવી ભૂલ ફરી કરવા માંગતું નથી.
રોહિત શર્માના આશીર્વાદથી નક્કી કરાશે નવો કેપ્ટન
આગામી કેપ્ટન કોણ હશે? તે પ્રશ્નના જવાબમાં સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન તે જ હશે જેને 'રોહિત શર્માના આશીર્વાદ' હશે. જોકે, રોહિત શર્મા પોતે ફરીથી કેપ્ટન બનશે નહીં, પરંતુ તે નવા કેપ્ટનની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
હાર્દિક પંડ્યાની વિદાય?
હાર્દિક પંડ્યા અને ટીમ વચ્ચે સંબંધો તણાવપૂર્ણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર હાર્દિક ટ્રાન્સફર માટે વિનંતી કરશે. આશરે બે અઠવાડિયામાં હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે સ્પષ્ટ નિર્ણય આવી શકે છે.
જોકે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ મેનેજમેન્ટ હવે હાર્દિક સાથે આગળ વધવા માંગતું નથી. શું IPL 2027 માં આપણે હાર્દિકને ચેન્નાઈની પીળી જર્સીમાં જોઈશું? આ તો સમય જ કહેશે!


