BCCI 2027 World Cup Plan : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતા મહિન એક ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની છે, જોકે તે પહેલા ભારતીય ટીમના પૂર્વ સુકાની રોહિત શર્માની ફિટનેશને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે રોહિતની ફિટનેસ ચિંતાનો વિષય બની ગઈ છે. આમ તો રોહિતને અફઘાન સામેની વન-ડે સિરિઝમાં સામેલ કરાયો છે, પરંતુ તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર છે.
રોહિત IPLમાં ઈજાગ્રસ્ત થયો હતો, BCCIને રિપોર્ટ પણ ન આપ્યો
મીડિયા રિપોર્ટ મુજબ, IPL-2026માં રોહિત શર્મા (Rohit Sharma)ને સ્નાયુઓની સમસ્યા થઈ હતી, જેના કારણે તે લગભગ ત્રણ અઠવાડિયાથી મેદાનની બહાર હતો. ચોંકાવનારી વાત એ છે કે, રોહિતે ઈજા અંગે BCCIની સેન્ટર ઑફ એક્સલન્સમાં રિપોર્ટ પણ આપ્યો ન હતો. હવે આ જ બાબતે બોર્ડ અને મેન્જમેન્ટની ચિંતા વધારી દીધઈ છે.
આ પણ વાંચો : ICC વર્લ્ડ કપ નહીં રમી શકે રોહિત શર્મા? BCCI તો હાર્દિક પંડ્યાને લઈને પણ ટેન્શનમાં!
IPLમાં રોહિત ઈમ્પેક્ટ પ્લેયર
ઈમ્પેક્ટ પ્લેયરને સતત 40 ઓવર સુધી રમવું પડતું નથી, તેથી રોહિત IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે. જ્યારે વન-ડે ક્રિકેટમાં ઈમ્પેક્ટ પ્લેયરની સુવિધા નથી, તેથી બીસીસીઆઈને ડર છે કે, રોહિતનું શરીર 40 વર્ષની ઉંમરે હાઈ-ઈન્ટેસિટી ક્રિકેટનું દબાણ કેટલું સહન કરી શકશે.
IPLમાં રોહિતની દમદાર બેટિંગ
જોકે રોહિતે અફઘાનિસ્તાન વન-ડે સિરીઝ (India-Afghanistan ODI Series) પહેલા IPLમાં દમદાર બેટિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે માત્ર ચાર મેચમાં 146 રન ફટકારી દીધા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. હવે મુંબઈ 24 મેએ છેલ્લી મેચ રમવાની છે, તેથી રોહિતને પોતાની ફિટનેસ સુધારવામાં ઘણો સમય મળી જશે.

રોહિતનો વિકલ્પ યશસ્વી, પણ ઈશાનને વધુ તક
બીજીતરફ BCCIના સિલેક્ટર્સોએ વન-ડે વર્લ્ડ કપ-2027 માટે બેકઅપ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. શરૂઆતમાં યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) રોહિતનો વિકલ્પ મનાતો હતો, જોકે સિલેક્ટર્સનું માનવું છે કે, યશસ્વીને હજુ વન-ડેમાં વધુ મેચો મળી નથી, આવી સ્થિતિમાં ઈશાન કિશન (Ishan Kishan)ને સંભવિત ઓપનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વર્લ્ડ કપ-2027નો પ્લાન અત્યારથી તૈયાર !
ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપને લઈને તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભવિષ્યમાં સંભવિત સ્થિતિઓને પહોંચી વળવા પર પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. જો વર્લ્ડ કપ પહેલા કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) અથવા યશસ્વી જયસ્વાલમાંથી કોઈ એક ઈજાગ્રસ્ત થાય તો ટીમ પાસે વધુ એક ઓપનર હોવો જરૂરી માનવામાં આવી રહ્યો છે.



