Get The App

'એકદમ બકવાસ સવાલ કર્યો...', ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
'એકદમ બકવાસ સવાલ કર્યો...', ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ? 1 - image

Glenn Philips on RCB and GT Match: IPL 2026ના રોમાંચક ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઇટન્સ (GT)ને 92 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહેલા ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ એક પત્રકારના સવાલ પર ખરાબ રીતે ગુસ્સે થઈ ગયા હતા. સવાલ સાંભળતા જ ફિલિપ્સે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ શું બકવાસ સવાલ છે?" હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

રજત પાટીદારના તોફાની 93 રન, RCBનો હિમાલય જેવો સ્કોર

ધર્મશાલાના રમણીય સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્ટેક મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી RCBની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 254 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ટીમ વતી રજત પાટીદારે માત્ર 33 બોલમાં અણનમ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ગુજરાતના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. પોતાની આ ઇનિંગ દરમિયાન પાટીદારે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ પણ ઉપયોગી યોગદાન આપીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

રનના પહાડ નીચે દબાયું ગુજરાત ટાઇટન્સ

255 રનના કપરા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેથી જ નિયમિત અંતરે વિકેટો ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. કેપ્ટન શુભમન ગિલ પણ આ મહત્ત્વની મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. મધ્યમ ક્રમના બેટર્સ પણ ક્રીઝ પર ટકી શક્યા નહોતા, પરિણામે આખી ટીમ 20 ઓવરમાં માત્ર 162 રન જ બનાવી શકી અને ગુજરાતે 92 રનથી મેચ ગુમાવવી પડી હતી.

સવાલ સાંભળીને કેમ ગુસ્સે થયા ગ્લેન ફિલિપ્સ?

મેચ પૂરી થયા બાદ ગુજરાત ટાઇટન્સ વતી ગ્લેન ફિલિપ્સ મીડિયાને સંબોધવા આવ્યા હતા. આ દરમિયાન એક રિપોર્ટરે તેમને સવાલ પૂછ્યો કે, "શું 250થી વધુ રનના ટાર્ગેટના દબાણને કારણે ટીમની માનસિકતા પર અસર પડી હતી અને એટલે જ હાર થઈ?" આ સવાલ સાંભળતા જ ફિલિપ્સનો પારો ચડી ગયો હતો.

અમે દબાણથી ડરીએ તેવા ખેલાડી નથી: ગ્લેન ફિલિપ્સ

રિપોર્ટરને રોકતા ગ્લેન ફિલિપ્સે રોષે ભરાઈને કહ્યું, “આ બહુ ખરાબ અને બકવાસ સવાલ છે. કોઈ પણ એવું વિચારીને નથી જતું કે ‘તમને ખબર છે કે અમે પહેલેથી જ હાર માની લીધી છે?’ અમે પ્રોફેશનલ ક્રિકેટર્સ છીએ. જો અમે દબાણથી આટલા ડરી જતા હોત, તો ક્યારેય આ સ્તર સુધી પહોંચી જ ન શક્યા હોત. અમે હંમેશા દરેક મેચ જીતવાના મક્કમ ઇરાદા સાથે જ મેદાનમાં ઉતરીએ છીએ."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "T20 ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે અને અહીં કંઈપણ શક્ય છે. અમને છેલ્લી ઘડી સુધી વિશ્વાસ હતો કે અમે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ પાવરપ્લેમાં જ શરૂઆતની વિકેટો પડી જવાને કારણે અમે મેચમાં વાપસી ન કરી શક્યા.”

રન ચેઝ કરવા અંગે ગ્લેન ફિલિપ્સે કહ્યું કે, “જ્યારે તમે 250 રનનો પીછો કરવા મેદાનમાં ઉતરો છો ત્યારે સ્કોરબોર્ડનું દબાણ ખૂબ વધારે હોય છે. બહુ ઓછી ટીમોએ આવું કર્યું છે. તમે પણ જાણતા હશો કે પંજાબ કિંગ્સે કેટલીક વખત આવું કરીને બતાવ્યું છે અને તે ખરેખર શાનદાર રહ્યું છે. હું હજી સુધી એવી કોઈ ટીમનો ભાગ બન્યો નથી જે 250 રનની આસપાસના સ્કોર સુધી પણ પહોંચી હોય. તમે પણ જાણો છો કે 250નો સ્કોર ક્યારેક જ જોવા મળે છે.”

એક રિપોર્ટરે તેમને પૂછ્યું કે મેચ ન રમવા છતાં મીડિયા સાથે વાત કરવી અજીબ લાગતી નથી? આ સવાલના જવાબમાં ગ્લેન ફિલિપ્સે કહ્યું કે, “ના, બિલકુલ નહીં. અમે બધા ટીમનો એક ભાગ છીએ. મીડિયા સામે અમારી દરેકની પોતાની એક જવાબદારી હોય છે. મને લાગે છે કે ઘણી વખત એવા ખેલાડીનો નજરિયો ખૂબ કામ આવે છે, જે મેચ રમી રહ્યો ન હોય. હવે જ્યારે અમે એલિમિનેટર મેચ રમવા જઈ રહ્યા છીએ ત્યારે આ બાબત ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. અમે અત્યાર સુધી ખૂબ સારું ક્રિકેટ રમ્યા છીએ. અત્યાર સુધી મેદાનમાં ઉતરેલા દરેક ખેલાડીએ હવે આગામી મેચ માટે તૈયારી કરવાની છે. આશિષ નેહરા હંમેશાં કહે છે — ‘ચિલ પિલ.’”

આ પણ વાંચો: IPLમાં પંત સામે કેપ્ટન્સી છીનવાઈ જવાનો ખતરો! ટીમના ખરાબ પરફોર્મન્સ પર કોચનું મોટું નિવેદન

RCB ફાઇનલમાં, ગુજરાત માટે હજુ એક તક બાકી

આ શાનદાર અને પ્રચંડ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026ની ફાઇનલમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે, જેને પગલે સોશિયલ મીડિયા પર RCBના ચાહકો જશ્ન મનાવી રહ્યા છે. બીજી તરફ, ક્વોલિફાયર-1 ગુમાવ્યા બાદ પણ ગુજરાત ટાઇટન્સની સફર સદંતર સમાપ્ત નથી થઈ. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે હવે તેમણે એલિમિનેટર મેચ જીતવાની આશા પર નજર રાખવી પડશે.