Get The App

VIDEO: IPL બાદ વિરાટ-અનુષ્કા ભક્તિમાં ડૂબ્યાં, ઉઘાડા પગે ચાલી પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ

Updated: Jun 2nd, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: IPL બાદ વિરાટ-અનુષ્કા ભક્તિમાં ડૂબ્યાં, ઉઘાડા પગે ચાલી પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ 1 - image

Virat-Anushka in Vrindavan: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મંગળવારે (2 જૂન) મથુરાના વૃંદાવન ખાતે આવેલા રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને આઈપીએલ 2026નું ટાઈટલ જીતાડ્યાના ગણતરીના કલાકોમાં જ 'કિંગ કોહલી' આધ્યાત્મિક રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અહીં બંનેએ બ્રજના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પર આ સ્ટાર કપલની આધ્યાત્મિક યાત્રાની તસવીરો અને વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

વહેલી સવારે મુલાકાત અને આધ્યાત્મિક ચર્ચા

રિપોર્ટ અનુસાર, વિરાટ અને અનુષ્કાએ વહેલી સવારે આશરે 4:00 વાગ્યે યમુના કિનારે આવેલા એકાંતવાસમાં પ્રેમાનંદ મહારાજજીની મુલાકાત લીધી હતી. આશ્રમ પરિસરમાં બંનેએ સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જમીન પર બેસીને સંત સાથે આશરે 45 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું. આ દરમિયાન બંનેના ગળામાં તુલસીની માળા અને માથા પર તિલક જોવા મળ્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ કપલની મુલાકાતને પગલે આશ્રમ પરિસર અને અન્ય શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

વિરાટ અને અનુષ્કા અગાઉ પણ અનેક પ્રસંગોએ વૃંદાવન આવી ચૂક્યા છે. આધ્યાત્મિકતા પ્રત્યે આ જોડીનો લગાવ જગજાહેર છે અને તેઓ અવારનવાર ધાર્મિક સ્થળો તથા સંતોના દર્શને જતા રહે છે.

સાદગીભર્યા લુકથી જીત્યા ફેન્સના દિલ

વૃંદાવન પહોંચેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો લુક અત્યારે ભારે ચર્ચામાં છે. વિરાટ કોહલી અત્યંત સાધારણ બ્રાઉન કલરના શોર્ટ કુર્તા અને ઓફ-વ્હાઈટ પેન્ટમાં નજરે પડ્યા હતા, જ્યારે અનુષ્કા શર્માએ લાઈટ પિંક ટ્રેડિશનલ કુર્તો અને ઘેરા ગુલાબી રંગનો દુપટ્ટો ધારણ કર્યો હતો. ચહેરા પર સફેદ માસ્ક અને માથા પર ચંદનનું તિલક લગાવેલું હતું. આ સ્ટાર કપલનો આટલો સાદો અને પરંપરાગત અંદાજ જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર તેમની નમ્રતા અને સાદગીના ભારોભાર વખાણ કરી રહ્યા છે.

IPL ફાઈનલમાં કોહલીની 'વિરાટ' ઇનિંગ્સ

ઉલ્લેખનીય છે કે રવિવારે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક આઈપીએલ ફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરીને RCBને સતત બીજી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત ટાઇટન્સ સામેના આ ખિતાબી મુકાબલામાં કોહલીએ માત્ર 25 બોલમાં પોતાની સૌથી ઝડપી ફિફ્ટી પૂરી કરી હતી અને એકંદરે 42 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી સમગ્ર મહેફિલ લૂંટી લીધી હતી.

આઈપીએલ 2026માં વિરાટ કોહલીનું પ્રદર્શન:

કુલ મેચ: 16

કુલ રન: 675 (સીઝનમાં ચોથા ક્રમે સૌથી વધુ રન)

એવરેજ (સરેરાશ): 56.25

સ્ટ્રાઈક રેટ: 165.84 (કરિયરનો સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ)

આ પણ વાંચો: ‘ગુજરાત ટાઇટન્સ સાથે અન્યાય થયો!’ – સુનિલ ગાવસ્કર આયોજકો પર ભડક્યા, જાણો શું છે વિવાદ

મેચનો ટૂંકો અહેવાલ

ફાઈનલ મેચમાં ગુજરાત ટાઇટન્સની મજબૂત બેટિંગ લાઇનઅપ પાવરપ્લેમાં જ લથડી ગઈ હતી. RCBના બોલરોના ધારદાર પ્રદર્શન સામે ગુજરાતની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન જ બનાવી શકી હતી, જેમાં વોશિંગ્ટન સુંદરે અણનમ 50 રનનું યોગદાન આપ્યું હતું.

156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમને ઓપનર વિરાટ કોહલી અને વેંકટેશ અય્યરે (32 રન) શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખી અંત સુધી બેટિંગ કરી હતી અને વિજયી છગ્ગો ફટકારીને 18 ઓવરમાં જ ટીમને 161/5ના સ્કોર સાથે ભવ્ય જીત અપાવી હતી. આ ઐતિહાસિક જીતના 48 કલાકોની અંદર જ વિરાટ વૃંદાવનમાં આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા.