Sports

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડેમાં 4 ભારતીય ખેલાડીઓને નહીં મળે તક, પ્લેઈંગ-11માં સ્થાન મુશ્કેલ!

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 વન-ડે સિરીઝ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. BCCI દ્વારા 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર કરાઈ છે. જોકે, ટીમ કોમ્બિનેશન જોતાં, યશસ્વી જાયસ્વાલ, આકિબ નબી ડાર, નમન ધીર અને ધ્રુવ જુરેલને આખી શ્રેણી દરમિયાન બહાર બેસવું પડી શકે છે. અનુભવી ખેલાડીઓની હાજરીને કારણે આ યુવાઓને તક મળવી મુશ્કેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડેમાં 4 ભારતીય ખેલાડીઓને નહીં મળે તક, પ્લેઈંગ-11માં સ્થાન મુશ્કેલ!

India Vs West Indies ODI : વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ જ મહિને ભારતના પ્રવાસે આવી રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 વન-ડે અને 5 T20 મેચોની સિરીઝ રમાશે. વન-ડે શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. BCCI દ્વારા આ શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે પ્લેઈંગ ઈલેવનની સત્તાવાર જાહેરાત ટોસ સમયે થશે, પરંતુ ટીમ કોમ્બિનેશન જોતાં 15માંથી 4 એવા ખેલાડીઓ છે જેમને આખી શ્રેણી દરમિયાન બહાર બેસી રહેવું પડી શકે છે.

યશસ્વી જાયસ્વાલ

યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલને 15 સભ્યોની ટીમમાં સ્થાન તો મળ્યું છે, પરંતુ અંતિમ 11માં તેને તક મળવી ઘણી મુશ્કેલ જણાય છે. ટીમમાં કેપ્ટન શુભમન ગિલની સાથે અનુભવી રોહિત શર્મા ઓપનિંગ કરતા જોવા મળશે. મજબૂત ઓપનિંગ જોડીની હાજરીના કારણે જાયસ્વાલને કદાચ આખી સિરીઝ બેન્ચ પર બેસીને જ વિતાવવી પડશે.

આકિબ નબી ડાર

જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબી ડારને પ્રથમ વખત ભારતની વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કરવા માટે તેણે હજુ રાહ જોવી પડી શકે છે. ઝડપી બોલિંગ વિભાગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બ્રારની ત્રિપુટી મેદાનમાં ઉતરે તેવી પૂરી સંભાવના છે, જેથી આકિબને બહાર બેસવું પડી શકે છે.

નમન ધીર

ઘરેલુ ક્રિકેટમાં પંજાબ અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી દમદાર પ્રદર્શન કરનાર નમન ધીરને પણ પહેલી વાર ભારતીય વન-ડે ટીમમાં તક અપાઈ છે. મિડલ ઓર્ડરમાં પહેલેથી જ મજબૂત અને અનુભવી ખેલાડીઓની હાજરી હોવાથી નમન ધીર માટે આ સિરીઝમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું પડકારજનક રહેશે.

ધ્રુવ જુરેલ

ધ્રુવ જુરેલને ટીમમાં રિઝર્વ વિકેટકીપર-બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. મુખ્ય વિકેટકીપર તરીકે કેએલ રાહુલ પહેલેથી ટીમમાં હાજર હોવાથી જુરેલને કોઈપણ મેચ રમવાની તક મળવાની શક્યતા ઘણી ઓછી છે. જો રાહુલને કોઈ ઈજા પહોંચે તો જ જુરેલ માટે પ્લેઈંગ ઈલેવનના દરવાજા ખુલી શકે છે.