Get The App

તમારા સ્માર્ટફોનમાં કેટલું સોનું છુપાયેલું હોય છે? જાણીને ચોંકી જશો

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
તમારા સ્માર્ટફોનમાં કેટલું સોનું છુપાયેલું હોય છે? જાણીને ચોંકી જશો 1 - image


Gold in Smartphone: આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. ફોન માત્ર વાતચીત કે મનોરંજન માટે જ નહીં, પરંતુ તેમાં રહેલા તત્વો પણ વૈજ્ઞાનિકો અને ઉદ્યોગકારો માટે અત્યંત કિંમતી છે. ખાસ કરીને તેમાં રહેલું સોનુ. સોનાની કિંમત આજે આસમાને પહોંચી ગઈ છે, પરંતુ એમ છતાં પણ મોબાઇલમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. સોના વગર ઘણી પ્રોસેસ શક્ય નથી અને એથી જ એનો ઉપયોગ મોબાઇલમાં કરવામાં આવે છે. ઘણાં લોકોને ખબર નહીં હોય, પરંતુ દરેક મોબાઇલમાં ચોક્કસ માત્રામાં સોનાનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે.

કેટલું સોનુ હોય છે?

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, એક સામાન્ય સ્માર્ટફોનમાં સરેરાશ 0.034 ગ્રામ સોનુ હોય છે. આજની બજાર કિંમત પ્રમાણે આ સોનુનું મૂલ્ય આશરે ₹550 જેટલું થાય છે. આથી દરેક મોબાઇલમાં આટલું સોનું હોય છે. એવું નથી હોતું કે મોંઘો ફોન હોય એમાં જ સોનાનો ઉપયોગ થાય છે, પરંતુ બજેટ મોબાઇલમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય કિંમતી ધાતુઓ

સ્માર્ટફોનમાં સોનાની સાથે અન્ય કિંમતી ધાતુઓ પણ હોય છે. એમાં ચાંદી, પેલેડિયમ અને પ્લેટિનમનો ઉપયોગ થાય છે.

• ચાંદી (Silver): 0.34 ગ્રામ (કિંમત આશરે ₹130)

• પેલેડિયમ (Palladium): 0.015 ગ્રામ (કિંમત આશરે ₹96)

• પ્લેટિનમ (Platinum): નાની માત્રા (કિંમત આશરે ₹40)

આથી એક સ્માર્ટફોનમાં રહેલી કિંમતી ધાતુઓનું કુલ મૂલ્ય ₹800–₹850 જેટલું થાય છે. આ ધાતુ દરેક મોબાઇલમાં હોય છે, પછી એ મોબાઇલ ચાલુ હોય કે બંધ.

સોનુ કેમ વપરાય છે?

સોનુ ઓક્સિડાઈઝ થતું નથી અને તેની કન્ડક્ટિવિટી ખૂબ ઊંચી છે. આ કારણે તે મધરબોર્ડ, માઇક્રોચિપ્સ, કનેક્ટર્સ અને કેમેરા સેન્સરમાં પાતળી લેયર તરીકે વપરાય છે. આથી ફોન લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે છે.

ઈ-વેસ્ટમાંથી ધાતુઓ મેળવવાનું મહત્ત્વ

દર વર્ષે કરોડો સ્માર્ટફોન કચરામાં જાય છે. એક ટન ઈ-વેસ્ટમાંથી અંદાજે 300 ગ્રામથી વધુ સોનુ મળી શકે છે, જ્યારે સામાન્ય ખાણમાંથી એક ટન પથ્થરમાંથી માત્ર 5 ગ્રામ સોનુ મળે છે. એટલે ઈ-વેસ્ટ રિસાયક્લિંગ ખાણકામ કરતા ઘણી વધુ અસરકારક છે. જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપ જેવા દેશોમાં ઈ-વેસ્ટમાંથી કિંમતી ધાતુઓ મેળવવાનું મોટું ઉદ્યોગ બની ગયું છે.

આ પણ વાંચો: લદાખના આકાશમાં લાલ રોશની! વૈજ્ઞાનિકોએ કહ્યું- આ સુંદરતા નહીં, મોટા જોખમનો સંકેત

પર્યાવરણ માટેનું મહત્ત્વ

જૂના ફોનને યોગ્ય રીતે રિસાયકલ કરવાથી કુદરતી સંસાધનોનો વધુ વપરાશ થતો અટકાવી શકાય છે અને પર્યાવરણને પણ બચાવી શકાય છે. સ્માર્ટફોનમાં રહેલું સોનુ અને અન્ય ધાતુઓ માત્ર ટેક્નોલોજીનો ભાગ નથી, પરંતુ ભવિષ્ય માટેનું એક મહત્ત્વપૂર્ણ સંસાધન છે.