Salaiva is New Painkiller: દુનિયાભરના વૈજ્ઞાનિકોને એક નવી શોધથી આશ્ચર્યચકિત કરી દીધા છે. મનુષ્યની થૂંક એટલે કે લાળમાં એક પદાર્થ જોવા મળ્યો છે. આ પદાર્થ દુખાવાને ઓછું કરવામાં મોર્ફિનથી પણ વધુ સારી રીતે કામ કરે છે. એનું નામ ઓપિયોર્ફિન છે જે દરેક મનુષ્યની લાળમાં હોય છે. આ કોઈ નવી દવા નથી, પરંતુ એ શરીરમાં ઉત્પન્ન થાય છે. મનુષ્ય જ્યારે ખાવાનું ખાય છે, વાત કરે છે અથવા તો ગળામાંથી ઉતારે છે ત્યારે એ થોડી-થોડી માત્રામાં બહાર આવે છે. ઓપિયોર્ફિન શું છે અને કેવી રીતે કામ કરે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં દુખાવાની દવાને આ બદલી પણ શકે છે.
શું છે ઓપિયોર્ફિન અને કેવી રીતે કામ કરે છે?
ઓપિયોર્ફિન એક એવું કેમિકલ છે જે આપણી લાળમાં પહેલેથી હોય છે. દિમાગમાં આવેલા ઓપિયોઇડ રિસેપ્ટર્સ સાથે સીધી રીતે નથી જોડાતું. મોર્ફિન અથવા તો અન્ય દવા દુખાવામાં એની સાથે સીધી રીતે અસર કરે છે. જોકે ઓપિયોર્ફિન આપણાં શરીરમાં દુખાવાને દૂર કરતાં કેમિકલ એટલે કે એન્કેફેલિન્સને પ્રોટેક્ટ કરે છે. આ એન્કેફેલિન્સ સીધા શરીરમાં બને છે અને દુખાવાને ઓછું કરવાનું કામ કરે છે. જોકે સામાન્ય રીતે એ જલદી તૂટી જાય છે. આથી ઓપિયોર્ફિન એને તૂટતા અટકાવે છે અને એથી જ એ વધુ સમય સુધી દુખાવાને સરળતાથી દૂર કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એનાથી શરીર વધુ સારી રીતે મજબૂત અને સ્વસ્થ બને છે કારણ કે એ માટે બહારથી કોઈ કેમિકલને શરીરમાં દાખલ નથી કરવું પડતું.
મોર્ફિનથી છ ગણું શક્તિશાળી હોવા છતાં સુરક્ષિત
વૈજ્ઞાનિકોને સૌથી આશ્ચર્યમાં પાડનારી વાત એ છે કે આ મોર્ફિન કરતાં છ ગણું શક્તિશાળી છે અને એમ છતાં એ સુરક્ષિત છે. એનો ઉપયોગ કરવાથી કોઈને પણ આડઅસર નથી થતી. મોટાભાગની ઓપિયોઇડ દવા સીધી દિમાગ પર અસર કરે છે. આ દવાને કારણે એનો નશો પણ થઈ જાય છે અને લોકોને એની આદત પડી શકે છે. આ સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.
ઓપિયોર્ફિન એનાથી એકદમ અલગ છે. એ શરીરમાં રહેલાં કેમિકલને લાંબા સમય સુધી કામ કરવા માટેની શક્તિ આપે છે. આથી એનાથી કોઈ પણ વ્યક્તિને નશો નથી થતો. વૈજ્ઞાનિકો એને સૌથી સુરક્ષિત અને નશા વગરની દુખાવો દૂર કરવાના રૂપમાં જોઈ રહ્યાં છે.
વૈજ્ઞાનિકો કેમ કરી રહ્યાં છે એના પર રિસર્ચ?
વૈજ્ઞાનિકો હવે આ ઓપિયોર્ફિન પરથી દુખાવો દૂર કરવાની નવી દવા બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે ઓપિયોર્ફિનની નકલ કરી એના જેવી નવી દવા બનાવવામાં આવે તો કોઈ પણ જાતની આડઅસર સિવાય ઇલાજ કરી શકાય છે. અત્યારની દવાને કારણે લાખો લોકો દુનિયાભરમાં નશાનો શિકાર થઈ રહ્યાં છે. મોર્ફિનનો ઉપયોગ નશા માટે પણ કરે છે. ઓપિયોર્ફિન જેવી દવા આ સમસ્યાનું સમાધાન છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ નવી દવા થોડા વર્ષમાં માર્કેટમાં આવી જશે.
આ પણ વાંચો: ભારતના આકાશમાંથી ‘ગાયબ’ થઈ રહ્યા છે તારા! જાણો શું છે ‘લાઇટ પોલ્યુશન’નું જોખમ
આપણું શરીર દરરોજ દુખાવાને કાબૂમાં રાખે છે
સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઓપિયોર્ફિન આપણાં શરીરમાં હંમેશાં હાજર હોય છે. આપણે જ્યારે બોલીએ છીએ, ગળીએ છીએ, ખાવાનું ખાઈએ છીએ, પાણી પીીએ છીએ ત્યારે એ થોડી-થોડી માત્રામાં શરીરમાંથી રિલીઝ થાય છે. એનો અર્થ એ થયો કે કુદરતે આપણને દુખાવાને કન્ટ્રોલ કરવા માટે પોતાની સિસ્ટમ આપી છે. શરીરમાં એવી ઘણી બાબતો છે જેને હજી સુધી વિજ્ઞાન સમજી નથી શક્યું. ધીમે-ધીમે સમજી રહ્યું છે અને શરીરમાં રહેલી ઘણી બાબતો હજી પણ સમયની સાથે વધુ સારી રીતે જાણવા મળી શકશે.


