Gujarat

મોટાભાગના છાત્રોનો મોબાઈલ બંધ રહેતાં પરિવાર સંપર્ક વિહોણો

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
મોટાભાગના છાત્રોનો મોબાઈલ બંધ રહેતાં પરિવાર સંપર્ક વિહોણો

હિંમતનગર, તા. 1

યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધ પછી શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં સમગ્ર વિશ્વ ચિંતિત છે. પોલેન્ડ સરહદે પહોંચ્યા પછી ફસાયેલા છાત્રોને હવે બોર્ડર પાર પ્રવેશ અપાતાં વાલીઓએ રાહત અનુભવી છે. જિલ્લામાં પોલેન્ડ સરહદે ફસાયેલા છાત્રોના મોબાઈલ બેટરી ડિસ્ચાર્જ થતાં ૪૮ કલાકથી બંધ હોવાથી પરિવારજનો સંપર્ક વિહોણા બની ચિંતિત બન્યા છે જેથી અન્ય જિલ્લાના છાત્રોના સંપર્કથી ખબર-અંતર પૂછી રહ્યા છે.

યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા જિલ્લાના મેડીકલ છાત્રો પોલેન્ડ બોર્ડરે પહોંચ્યા પછી ત્યાં અટવાયા હતા. હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થતાં અંધાધૂંધીનો માહોલ ઉભો થયો હતો. ખાસ કરીને પોલેન્ડ બોર્ડરે ફસાયેલા વિદ્યાર્થીઓ સરહદ વટાવી અંદર પ્રવેશવામાં સફળ થયા છે. માઈનસ ૧૧ ડિગ્રી ઠંડીમાં વિદ્યાર્થીઓ ક્યારે બોર્ડર ખૂલશે તેની રાહ જોઈને બેઠા હતા પરંતુ સ્થિતિ વધુ સ્ફોટક બનતાં માનસિક રીતે ડગમગી ગયા છે. પરંતુ આખરે હવે પોલેન્ડની બોર્ડરે ફસાયેલા વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે જેમાં તલોદ તાલુકાના નાનાચેખલા ગામના મેડીકલ છાત્ર ભાવિન પટેલ અને અન્ય ગુજરાતી છાત્રો બોર્ડર પ્રવેશમાં સફળ રહ્યા છે. મોટાભાગના છાત્રોના ઈમીગ્રેશન ઉપર સહી-સિક્કા થયાનું પણ જાણવા મળ્યું છે.

જ્યારે ભારતીય એમ્બેસી દ્વારા સરહદ પાર કરવામાં સફળ રહેલા છાત્રો માટે પોલેન્ડની હોટલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે ગમે તે ઘડીએ ઓપરેશન ગંગા અંતર્ગત પોલેન્ડ પહોંચેલા મંત્રી વી. કે. સિંહ પણ ત્યાં પહોંચી ફસાયેલા છાત્રોને પરત લાવવા માટે સક્રીય થતાં છાત્રોના પરિવારજનોએ મોટી રાહત અનુભવી છે. ભયાનક યુદ્ધ અને કાતિલ ઠંડીની મોસમમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ક્યારે આવશે તેની ચિંતા પરિવારજનોને રાત-દિવસ સતાવી રહી હતી પરંતુ હવે કેટલાક છાત્રોનો પોલેન્ડ પ્રવેશ થઈ જતાં આગામી ટૂંક સમયમાં જ જિલ્લાના પોલેન્ડ બોર્ડરે ફસાયેલા મેડીકલ છાત્રોની ઘરવાપસી શક્ય છે.