Gujarat

હિંમતનગરના બસ સ્ટેન્ડ પાસે ગંદકીથી રોગચાળાની દહેશત

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
હિંમતનગરના બસ સ્ટેન્ડ પાસે ગંદકીથી રોગચાળાની દહેશત

હિંમતનગર તા. 22

  હિંમતનગરના બસ્ટેન્ડ આગળથી પસાર થતી ગટર સ્વચ્છતા અભિયાનનો ઉત્તમ નમુનો બન્યો છે. દિવસ દરમ્યાન હિંમતનગરના બસ્ટેન્ડ સહિત આસપાસમાં આવેલા ખાણી પીંણીની દુકાનોમાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં મુસાફર જનતાની અવર જવર રહેતી હોય છે ત્યારે બસ્ટેન્ડ આગળથી પસાર થતી ખુલ્લી ગટર ગંદકી અને કચરાથી ઉભરાતા મુસાફર જનતાના આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સાથે રોગચાળો ફેલાવાની દહેશત વ્યકત કરાઈ રહી છે.

ત્યારે જવાબદાર પાલિકા સહિત એસ.ટી.તંત્ર દ્વારા ગંદકીથી ખદબદી રહેલી ખુલ્લી ગટરમાં ફેલાયેલી ગંદકી દુર કરવાની માંગણી વહેપારીઓ સહિત મુસાફર જનતામાં પ્રબળ બની છે.

હિંમતનગરના મુખ્ય બસ્ટેન્ડ આગળથી પસાર થતી ખુલ્લી ગટર છેલ્લા કેટલાક સમયથી કચરો એકત્રીત કરવા તથા કચરાનો નિકાલ કરવાનું સ્થાન બની ગયુ છે. ખુલ્લી ગટરમાં આસપાસના કેટલાક વહેપારીઓ સહિત મુસાફર જનતા દ્વારા ગંદા પાણી સહિત સુકો તથા લીલા કચરાનો નિકાલ આ ગટરમાં કરાતો હોવાથી ગંદકીનુ સામ્રાજય  ફેલાયુ છે.

દિવસ દરમ્યાન બસ્ટેન્ડ સહિત આસપાસમાં આવેલી ખાણીપાણીની હોટલો તથા સહિત ખાનગી આરોગ્ય સારવાર કેન્દ્રમાં દિવસ દરમ્યાન હજારો લોકો આ વિસ્તારમાંથી અવર જવર કરતા હોય છે તથા બસ્ટેન્ડ સહિત હોટલોમાં લાંબો સમય બેસી ચા-નાસ્તો તથા ભોજન સહિત બહાર ગામ જવા અર્થે બસ્ટેન્ડમાં તથા તેની આસપાસમાં બસો તથા ખાનગી વાહનોની પ્રતિક્ષા કરતા હોય છે.