ચાંદીપુરા વાયરસથી સાબરકાંઠામાં હાહાકાર: હિંમતનગરમાં શંકાસ્પદ લક્ષણોથી વધુ 1 માસૂમનું મોત, કુલ આંકડો 5 થયો, 1 બાળક ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandipura Virus Case In Himatnagar: સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને હાહાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં હિંમતનગરમાં શંકાસ્પદ લક્ષણોથી વધુ 1 માસૂમનું મોત થયું છે, ત્યારે ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક 5 થયો છે. પ્રાપ્ત વિગત અનુસાર, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો મામલે 26 જૂનથી હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં સાત બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક બાળક સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાનું જણાય છે.
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોથી વધુ 1 માસૂમનું મોત, મૃત્યુંઆંક 5 થયો
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યા છે. જેમાં છેલ્લા 15 દિવસમાં હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં કુલ સાત બાળકો ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈને સારવાર હેઠળ હતા. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સિવિલ હૉસ્પિટલમાં ગત 10 જુલાઈ, 2026ની મોડી રાત્રે વધુ એક બાળકનું મૃત્યુ થયું.
1 બાળકની હાલત ગંભીર
જ્યારે એક બાળકની સ્થિતિ ગંભીર હોવાથી હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેશન પર છે, જ્યાં તબીબો દ્વારા બાળકનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણોને લઈને સિવિલ હૉસ્પિટલના બાળકોના નિષ્ણાંત તબીબે જણાવ્યું કે-
બાળકોમાં તાવ અને ઉલટી સહિતના લક્ષણો જણાય તો વાલીઓએ તાત્કાલિક નજીકની હૉસ્પિટલ અથવા સિવિલ હૉસ્પિટલમાં બાળકને સારવાર માટે પહોંચવું. આ ઉપરાંત, લોકોએ રહેણાંક વિસ્તારની આસપાસ સ્વચ્છતા જાળવવી અને રાત્રિના સમયે મચ્છરદાનીનો ઉપયોગ અવશ્ય કરવો.
આરોગ્ય વિભાગ દોડતું થયું
હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના વધતાં કેસ મામલે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેમાં પોશીના વિસ્તારમાંથી દર્દીઓમાં લક્ષણો જણાતાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા દેમતી ગામ, મગરીફરી વિસ્તારમાં ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં આરોગ્ય ટીમે અસરગ્રસ્ત વિસ્તારના 46 ઘરોમાં ડસ્ટિંગ, તેમજ ફોકલ સ્પ્રિંગ કરવામાં આવ્યું છે.









