Dharm

ભક્તે તપશ્ચર્યા કરી 'ને સ્વયંભૂ પ્રગટ્યા શિવજી, 2200 વર્ષ જૂનું ‘હાટકેશ્વર મહાદેવ’નું શિવાલય

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
વડનગરમાં નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું 2200 વર્ષ જૂનું પૌરાણિક શિવાલય આવેલું છે. દંતકથા અનુસાર, ચિત્રગુપ્ત બ્રાહ્મણની તપસ્યાથી પ્રસન્ન થઈ ભોળાનાથ અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા. આ મંદિરમાં રામાયણ-મહાભારતના પ્રેરક પ્રસંગો, દેવી-દેવતાઓ, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓ કંડારવામાં આવી છે. અહીં મત્સ્યાવતાર વિષ્ણુનું અનોખું શિલ્પ પણ જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભક્તે તપશ્ચર્યા કરી 'ને સ્વયંભૂ પ્રગટ્યા શિવજી, 2200 વર્ષ જૂનું ‘હાટકેશ્વર મહાદેવ’નું શિવાલય

Hatkeshwar Mahadev: વડનગર એટલે નાગર બ્રાહ્મણોનું ગામ. નાગરોના આ ગામમાં આવેલું છે તેમના ઇષ્ટદેવ ‘હાટકેશ્વર મહાદેવ’નું પૌરાણિક શિવાલય. આ શિવાલય અંદાજે 2200 વર્ષ જૂનું માનવામાં આવે છે. ચાલો જાણીએ આ મંદિરની રોચક કથા…

શું છે પૌરાણિક કથા?

એક દંતકથા પ્રમાણે, ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપશ્ચર્યા કરી હતી. ભક્ત બોલાવે અને ભોળાનાથ આવે નહીં તેવું બને નહીં. ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રશન્ન થયા અને કહ્યું કે, વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કરજે, હું સ્વયંભૂ પ્રગટ થઈશ. ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હતા.

મંદિરમાં રામાયણ-મહાભારતના પ્રેરક પ્રસંગોની આકૃતિ

મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદ્ભુત છે. મંદિરની મુલાકાત લેનારા લોકોને મંત્રમુગ્ધ કરી દે તેવું નકશીકામ છે. આ મંદિરમાં નવ ગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિંદુ દેવી-દેવતાઓ, સમગ્ર દેવમંડળ, રામાયણ અને મહાભારતનાં પ્રેરક પ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે.

સમગ્ર મંદિર સુંદર શિલ્પો પડે સુશોભિત

આ એક સલ્તનતકાલીન ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર છે. તેના તલમાનમાં ગર્ભગૃહ, અંતરાલ, સભામંડપ અને ત્રણ શૃંગાર ચોકીઓ આવેલાં છે. સમગ્ર મંદિર સુંદર શિલ્પો વડે વિભૂષિત છે. મંડોવર, પીઠ અને મંડપ તથા શૃંગાર ચોકીઓની વેદિકા પર નવગ્રહો, દિકપાલ અને દેવદેવીઓની મૂર્તિઓ તથા કૃષ્ણ અને પાંડવોના કેટલાક જીવનપ્રસંગો કોતરેલાં છે.

મત્સ્યાવતાર વિષ્ણુનું અનોખું શિલ્પ

આ કોતરણીઓમાં મત્સ્યાવતાર વિષ્ણુનું શિલ્પ ઉલ્લેખનીય છે. માથાથી જાંઘ સુધીનો ભાગ મનુષ્યાકાર અને તેથી નીચેનો ભાગ મત્સ્યાકાર છે. ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ચક્ર છે. જ્યારે નીચેનો જમણો હાથ શંખયુક્ત વરદ મુદ્રામાં અને ડાબો હાથ પદ્મયુક્ત વરદ મુદ્રામાં છે. શંખયુક્ત હાથ વડે વિષ્ણુએ નીચે હાથ જોડીને બેઠેલા ભક્તને સ્પર્શ કર્યો છે.

15મી સદીની આસપાસનું મંદિર

સભામંડપ અને શૃંગાર-ચોકીઓ ઘુમ્મટ વડે ઢાંકેલાં છે. ગર્ભગૃહની ઉપરનું શિખર દરેક બાજુએ ત્રણ ત્રણ ઉરુશુંગો ધરાવે છે. મંદિરના પરિસરમાં અનેક નાનીમોટી દેરીઓ આવેલી છે. આ મંદિરનો અનેકવાર જીર્ણોદ્ધાર થયેલો છે. સમયની દૃષ્ટિએ એ 15મી સદી પછીનું નથી. મોટેભાગે ગામનું મુખ્ય મંદિર ગામની અંદર આવેલું હોય; પરંતુ આ મંદિર ગામની બહાર આવેલું છે. એ રીતે મંદિરની સ્થળની દૃષ્ટિએ વિશેષતા છે.