Ravi Purti

એક ચોમાસું તારા વિનાનું

By GS Team
18 Jul 20263 mins read
TukuTouch Logo
કરસનદાસ લુહારની ગઝલમાં પ્રેમી યુગલની લાગણીઓની અસમાનતા રજૂ થઈ છે. 'એક ચોમાસું' થી શરૂ થતી આ ગઝલ બે હૈયામાંથી ઝરમર વરસતી સરવાણીની વાત કરે છે. જેમાં એક પાત્ર સભર, તરબતર અને લીલોતરીથી છલકાય છે, જ્યારે બીજું પાનખરની જેમ ખાલીખમ અને સૂકું ભઠ છે. આ કવિતા પ્રેમમાં જાત ગુમાવી દેવાની જોખમી સ્થિતિનું વર્ણન કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક ચોમાસું તારા વિનાનું

અંતરનેટની કવિતા - અનિલ ચાવડા

  • અલકાપુરીમાં યક્ષની પ્રિયા રહે છે. ત્યાં સૌંદર્ય છે, સમૃદ્ધિ છે, ઉજાસ છે. રામાદ્રિ ઉપર શાપિત યક્ષ રહે છે. તેની પાસે માત્ર વિરહ છે. તે પોતાની પ્રેમિકાને મળી શકતો નથી. તેથી મેઘને દૂત બનાવીને પ્રેમિકાને સંદેશો મોકલે છે.
    લોગઈન
    એક ચોમાસું કે, તું તું-થી સભર;
    એક ચોમાસું કે, હું મારા વગર.
    એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
    એક ચોમાસું કે, તું છે તરબતર!
    એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
    એક ચોમાસું કે, હું છું પાનખર.
    એક ચોમાસું કે, તું અલકાપુરી,
    એક ચોમાસે હું રામાદ્રિ ઉપર!
  • કરસનદાસ લુહાર
    ટૂંકી બહેરની આ ગઝલ પરીક્ષા કરે તેવી છે. બહેર ટૂંકી છે, વળી આગળના ત્રણ શબ્દો બધી જ પંક્તિઓમાં સરખા છે, કવિતાનું કૌવત બતાવવા માટે પાછળ માંડ ગણ્યાગાંઠયા અક્ષરો રહે છે, એવી સ્થિતિમાં કવિતાનું મોતી લઈને બહાર આવવું મુશ્કેલ હોય છે. પણ કરસનદાસ લુહાર જેવા સક્ષમ કવિને આ કૌવત હાથવગું છે.
    કવિ અહીં દરેક પંક્તિમાં 'એક ચોમાસું' એમ કહે છે. પણ એ એક ચોમાસું નથી. કવિ જે ચોમાસાની વાત કરે છે, તે આભમાંથી ઝરમરતા પાણીની નહીં, પણ બે હૈયામાંથી ઝરમર વરસતી સરવાણીની વાત છે. કવિતામાં બે પાત્રો છે - તું અને હું. જેમાં એકની સ્થિતિ સભર છે, બીજું ખાલીખમ. એક તરબતર છે, તો બીજું પાત્ર સૂકું ભઠ. એક લીલોતરીથી છલકાય છે, તો બીજું પાનખરમાં તરડાય છે. આ તું અને હું એટલે કોઈ પ્રેમી યુગલ.
    પ્રેેમમાં ઘણી વાર એવું થાય છે કે માણસ પોતાનું જીવન જીવતો નથી, સામેની વ્યક્તિને જીવવા લાગે છે. પછી એક દિવસ એવું બને છે કે પોતાની અંદર પોતે જ બચતો નથી. અને જાતને ભૂલી જવું ખૂબ જોખમી હોય છે. કેમકે જે દિવસે સામેની વ્યક્તિ દૂર થઈ જાય, ત્યારે માત્ર સંબંધ નથી તૂટતો, ઘણું બધું તૂટતું હોય છે.
    અહીં કાવ્યનાયક અર્થાત્ પ્રેમી અંદરથી બળી રહ્યો છે. તેની અંદર કાળઝાળ ઉનાળો છે. જ્યારે સામેનું પાત્ર તો તરબતર થઈ રહ્યું છે. તેના જીવનમાં વરસાદ છે. અહીં કવિ કોઈ આરોપ લગાવતા નથી. તે માત્ર એક હકીકત રજૂ કરે છે. એક જ સંબંધમાં બે લોકોની લાગણીઓનો સમય ઘણીવાર એકસરખો હોતો નથી.
    પ્રેેમિકાના જીવનમાં હરિયાળી છે, પર્ણોથી છલકાય છે. પરંતુ પ્રેમીના જીવનમાંથી લીલોતરી ગાયબ થઈ ગઈ છે. પાનખરનો અર્થ માત્ર એકલતા નથી. પાનખર એટલે ધીમે ધીમે અંદરથી ખાલી થવું. એક પછી એક આશા ખરી પડવી. પ્રેમ અધૂરો રહી જાય, ત્યારે માણસ રાતોરાત તૂટી પડતો નથી. તે પાનખર બને છે. ધીમે ધીમે ખરતો જાય છે. ઉજ્જડ બનતો જાય છે.
    અંતિમ પંક્તિમાં કવિ પ્રેમ અને પ્રેમની પરિસ્થિતિ વિશે કાલિદાસના 'મેઘદૂતમ'નો સંદર્ભ આપે છે, પણ વાત પોતાની જ કરે છે.
    અલકાપુરીમાં યક્ષની પ્રિયા રહે છે. ત્યાં સૌંદર્ય છે, સમૃદ્ધિ છે, ઉજાસ છે. રામાદ્રિ ઉપર શાપિત યક્ષ રહે છે. તેની પાસે માત્ર વિરહ છે. તે પોતાની પ્રેમિકાને મળી શકતો નથી. તેથી મેઘને દૂત બનાવીને પ્રેમિકાને સંદેશો મોકલે છે.
    એક ચોમાસું કે, તું અલકાપુરી,
    એક ચોમાસે હું રામાદ્રિ ઉપર!
    પ્રેમિકા અલકાપુરી જેવી સ્થિતિમાં છે… પ્રકાશમાં, પૂર્ણતામાં, પોતાના નવા આકાશમાં. અને પ્રેમી રામાદ્રિ પર બેઠેલા યક્ષ જેવો છે. તેને મળવાનો રસ્તો નથી. તેની પાસે માત્ર યાદો છે. પ્રતીક્ષા છે. વરસાદ છે, જેમાં તે દર વર્ષે એક ચહેરાને શોધ્યા કરે છે. વિરહ એ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર વ્યક્ત નથી કરતો હોતો.
    આ કવિતાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ક્યાંય કડવાશ નથી. પ્રેમી એવું નથી કહેતો કે 'તું બેવફા હતી.' તે એમ પણ નથી કહેતો કે હું સાચો હતો. તે માત્ર એટલું જ કહે છે, આપણાં ચોમાસાં જુદાં હતાં. સંજોગોએ તને અલકાપુરી બનાવી દીધી અને મને રામાદ્રિ પર્વત.
    આ કવિતા બે પ્રેમીઓની લાગણીઓની અસમાનતાનો દસ્તાવેજ છે. આ કવિતા વાંચીને વરસાદ ભલે યાદ આવતો હોય, પરંતુ તેનાથી પણ વધારે યાદ આવે છે - કોઈનું સાથે ન હોવું.
    લોગઆઉટ
    દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે?
    સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે.
  • ગૌરાંગ ઠાકર