સાયબર ફ્રોડનાં કેસમાં હવેથી ઝીરો-ઈ-એફઆઈઆર ફરજિયાત બનાવી દેવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : સાયબર ફ્રોડના કિસ્સાઓમાં હવેથી ઝીરો ઈ - એફઆઈઆર ફરજિયાત બનાવાઈ છે. ભોગ બનનાર ૧૯૩૦ ઉપર કોલ કરશે તે સાથે જ ઈ-એફઆઈઆર જનરેટ થઈ સંબંધીત પોલીસ મથકમાં પહોંચી જશે. જયાં પછીથી ભોગ બનનારે ફિઝીકલ એફઆઈઆર નોંધાવવાની રહેશે. ભોગ બનનાર જો ફિઝીકલ એફઆઈઆર નોંધાવવા ન માંગતા હોય તો ઈ-એફઆઈઆરના આધારે પોલીસ તપાસ જારી રાખશે.
રાજયમાં અગાઉ વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સાઓમાં જ ઈ-એફઆઈઆર થઈ શકતી હતી. ફરિયાદી પોતાના ઘરે બેસીને વાહન કે મોબાઈલ ચોરીની ઈ-ફરિયાદ નોંધાવી શકતા હતા. હવે સાયબર ફ્રોડને પણ ઈ-એફઆઈઆરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.
ડીજીપીના આદેશથી ગઈ તા.૧ સપ્ટેમ્બરથી ઝીરો-ઈ-એફઆઈઆર ફરજિયાત બનાવાઈ છે. શરૂઆતમાં રૂપિયા એક લાખના સાયબર ફ્રોડમાં ઈ-એફઆઈઆર કરવાનો હુકમ કરાયો હતો. ત્યારબાદ આ રકમ ઘટાડી હવે રૂા.પ૦ હજારની કરવામાં આવી છે. રાજકોટના ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ઝીરો-ઈ-એફઆઈઆરના આધારે પહેલી ફિઝીકલ એફઆઈઆર નોંધાઈ પણ ચૂકી છે.
જાણકાર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં પાંચ લાખથી નીચેની રકમનાં સાયબર ફ્રોડની ફરિયાદ સંબંધીત પોલીસ મથકમાં અને પાંચ લાખથી વધુ રકમના સાયબર ફ્રોડની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી શકાય છે.
ઝીરો-ઈ-એફઆઈઆરના આધારે કોઈ ભોગ બનનાર જો ફિઝીકલ એફઆઈઆર નોંધાવવા ન માંગતું હોય તો અરજીના આધારે તપાસ કરી જો તેના ખાતામાંથી રકમ ફ્રિઝ કે બ્લોક થઈ હોય તો તે પણ પરત મળી શકશે. આ માટે ફિઝીકલ એફઆઈઆર નોંધાવવી ફરજિયાત નથી.




