Rajkot

મોંઘવારીનો માર, સિંગતેલના ડબ્બાની કિંમત રૂ. 3000ને પાર, મગફળીનું વાવેતર વધુ છતાં ભાવવધારો કેમ?

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન અને વધુ વાવેતર છતાં, રાજકોટ તેલબજારમાં સિંગતેલના ભાવમાં નિરંકુશ વધારો યથાવત છે. આજે, સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ. 30 વધીને રૂ. 2970-3020ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. પૂરતો જથ્થો હોવા છતાં, શોર્ટ સપ્લાયનું ખોટું કારણ આપી ભાવ વધારાઈ રહ્યા છે, જે સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીનો માર, સિંગતેલના ડબ્બાની કિંમત રૂ. 3000ને પાર, મગફળીનું વાવેતર વધુ છતાં ભાવવધારો કેમ?

Groundnut Oil Prices: ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગત વર્ષે વિક્રમજનક 60 લાખ ટનને પાર થયું હતું અને આ વર્ષે મગફળીનું સામાન્ય કરતા વધુ વાવેતર થઈ ગયું છે, છતાં મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં નિરંકુશ વધારાનો દોર સાતમ-આઠમના તહેવારો પૂરા થતા જ શરૂ કરી દેવાયો છે. આજે રાજકોટ તેલબજારમાં સિંગતેલ ડબ્બાના ભાવ રૂ. 2940-2990માં વધુ રૂ. 30નો વધારો ઝીંકીને રૂ. 2970-3020ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચાડી દેવામાં આવ્યા છે.

સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો

ગત વર્ષે મગફળીનું ઉત્પાદન આશરે 52 લાખ ટન હોવા છતાં સિંગતેલનો ડબ્બો રૂ. 2400થી 2500માં મળતો હતો, પરંતુ આ વર્ષે પહેલેથી જ રૂ. 500થી 600નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જન્માષ્ટમી પૂર્વે તહેવારના કારણે ભાવ કૃત્રિમ રીતે નીચા દેખાડવા માટે આંશિક ઘટાડો કરીને રૂ. 2800-2850 કરાયા હતા, જેમાં ગત ચાર દિવસમાં જ ફરી રૂ. 70નો વધારો ઝીંકી દેવાયો છે.

બજારમાં પૂરતો જથ્થો હોવા છતાં મોંઘવારી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મગફળીનું નોર્મલ વાવેતર 16.15 લાખ હેક્ટર થતું હોય છે, જેની સામે આ વર્ષે 20.68 લાખ હેક્ટર અર્થાત 8 ટકા વધુ વાવેતર થયું છે. સમગ્ર દેશમાં મગફળીના 46.79 લાખ હેક્ટર સામે આ વર્ષે આજદિન સુધીમાં 50.45 લાખ હેક્ટર અને ગત વર્ષે 50.66 લાખ હેક્ટર વાવેતર થયું હતું. ગત વર્ષે પાકેલી મગફળીનો જથ્થો હજુ પણ બજારમાં ઉપલબ્ધ છે અને નવરાત્રી પછી નવો માલ પણ બજારમાં આવી રહ્યો છે, છતાં શોર્ટ સપ્લાયનું ખોટું કારણ આપીને ભાવ વધારવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં આ શોર્ટ સપ્લાય મેનેજમેન્ટની કમી અને સરકારી તંત્રની ભાવને વાજબી સ્તરે જાળવી રાખવાની નિષ્ફળતા દર્શાવે છે.

સામાન્ય ગરીબોની મુશ્કેલીઓ પ્રત્યે બેદરકારી

અગાઉ થોડાઘણા ભાવવધારા સામે લોકો રસ્તા પર આવીને તેલના ડબ્બા ખખડાવીને વિરોધ કરતા અને સરકારને ઢંઢોળવા આંદોલન કરતા હતા, પરંતુ હવે નેતાઓ એટલા નાણાવાન થઈ ગયા છે કે સામાન્ય ગરીબ વર્ગને આ મોંઘવારીથી પડતી મુશ્કેલીઓ અંગેની સંવેદના અને સહાનુભૂતિ પણ જાણે ગુમાવી બેઠા છે.