બોલીવૂડની ભ્રામક આભા પર હનુમાન અંશની ગદાના ફટકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દોઢ કરોડમાં બનેલી ફિલ્મ ૧૦૦ કરોડને સ્પર્શી રહી છે
- પ્રસંગપટ
- ફિલ્મ જય સંતોષીમાં જોવા લોકો ચંપલ બહાર ઉતારીને થિયેટરમાં જતા હતા એવું જ હનુમાન અંશમાં જોવા મળી રહ્યું છે
ખરેખર, બોલીવૂડની આભા પર હનુમાન અંશ ફિલ્મે ગદાથી ફટકા માર્યા છે. ઘેર ઘેર હનુમાન અંશની વાતો થઇ રહી છે. નો સેક્સી સીન અને નો ફાઇટ સીન વાળી આ ફિલ્મમાં કોઇ મોટા કલાકારો નહોતા છતાં ફિલ્મ પડદે તેના પર હીટનું લેબલ વાગી ગયું છે.પૌરાણીક કથાઓ બાળકને દાદીમા પાસેથી સાંભળવા મળતી હોય છે. બાળક મોટું થયા પછી અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા પછી પૌરાણીક કથા સમજાવનાર કોઇ નથી હોતું. યુવાનોના માનસ પર બોલીવૂડે એટલો સખત્ત ભરડો જમાવ્યો છે કે તેના વિચારે નવી નેગેટીવ સંસ્કૃતિ ઉભી થઇ હતી. તેને દુર કરવી શક્ય નહોતી.
જોકે હનુમાન અંશે ચમત્કાર બતાવ્યો છે. લોકો બે બે વાર આ ફિલ્મ જોઇ રહ્યા છે. દોઢ -બે કરોડમાં બનેલી ફિલ્મ માત્ર ૩૦ દિવસમાં ૧૦૦ કરોડને સ્પર્શી રહી છે. લોકોના માનસ પર હીલીંગનો લેપ લગાવતી ફિલ્મે બોલીવૂડને હચમચાવી દીધું છે. લોકોના માનસને જે શ્રધ્ધા ભરેલી વાતો જોવાનું મન હતું તે બહુ સરળ રીતે હનુમાન અંશમાં સમજાવાયું છે.
૧૯૭૫-૭૬ દરમ્યાન આવેલી ફિલ્મ જય સંતોષીમાં જોવા લોકો ચંપલ બહાર ઉતારીને થિયેટરમાં જતા હતા એવુંજ હનુમાન અંશમાં જોવા મળી રહ્યું છે. જય સંતોષીમાનું વ્રત પણ ફિલ્મ જોયા બાદ અનેક લોકો કરતા થયા હતા. પ્રજા આવી ફિલ્મોનો પ્રચાર હોંશે હોંશે કરતી હોય છે. દર્શકોના મનને શાંતિ મળતી હોય એવી ફિલ્મો આપવાનું ગજું બોલીવૂડમાં નથી.
હિન્દુ દેવી દેવતાઓનું અપમાન હવે ફિલ્મોમાં, ઓટીટી પ્લેટફોર્મ અને સ્ટેન્ડીંગ કોમેડી કરનારા માટે સામાન્ય થઇ ગયું છે. તેમના પર ફરિયાદ થાય એટલે તેમના ભાવ વધી જતા હતા.
હનુમાન અંશના આઇડયા પાછળ ૨૧ વર્ષની યુવતી અનુપ્રિયા નાગર છે. તે મુંબઇની છે અને એક એસાઇનમેન્ટના ભાગ રૂપે તે નીમ કરોલી બાબાના આશ્રમમાં ગઇ હતી. સ્ટીવ જોબે આશ્રમની મુલાકાત લીધા બાદ તેની જિજ્ઞાાશા નિમ કરોલી બાબા વિશે વધુ જાણવાની થઇ હતી. તેમાંથી એક આધ્યાત્મિક સફર કરાવતી ફિલ્મ બની હતી. એપલના કો ફાઉન્ડર અને નિમ કરોલી બાબા વચ્ચેનું આધ્યાત્મિક કનેક્શન જાણવાના પ્રયાસમાંથી ફિલ્મનો જન્મ થયો હતો.
ફિલ્મ મેકર વિશાલ ચતુર્વેદી સાથે રહીને લો બજેટ વાળી ફિલ્મ બનાવાઇ હતી. ફિલ્મ અને અનુપ્રિયાની કેરીયરના એસાઇનમેન્ટ સાથે કોઇ લેવાદેવા નહોતી. યુકેમાં ઇકોનોમિક્સની ડિગ્રી લઇ ને ત્યાં ત્રણ વર્ષ રહી હતી. ફિલ્મ બનાવવાનો કે ભારત પરત ફરવાનો વિચાર પણ તેને ક્યારેય નહોતો આવ્યો. એપલના સ્ટિવ જોબ જ્યારે નિમ કરોલી બાબાના આશ્રમમાં આશિર્વાદ લેવા ગયા ત્યારે ત્યારે તે દરેક અખબારના ફ્રન્ટ પેજ ન્યૂઝ બન્યા હતા.
અનુપ્રિયા પહેલાં નિમ કરોલી બાબા પર બુુક લખવા માંગતા હતા. પરંતુ બાદમાં તે એકેડેમીક પ્રોજેક્ટ સિનેમેટીક સાહસ બની ગયું હતું. મહારાજજી તરીકે લોકપ્રિય બનેલા નિમ કરોલી બાબાને મળવા માર્ક ઝૂકરબર્ગ પણ ગયા હતા. અભિનેત્રી જુલિયા રોબર્ટે પણ કહ્યું હતું કે મારી આધ્યાત્મિક યાત્રા પર નિમ કરોલી બાબાનો પ્રભાવ છે.
બોલીવૂડની ફિલ્મોમાં આઇટમ સોંગ જોવા ટેવાયેલા પ્રેક્ષકોે જ્યારે હનુમાન અંશનું
'જબ જીદ પે આ ગઇ પાર્વતી,પાર્વતી, પાર્વતી
જબ સમજાને પહૂંચે સપ્તઋષિ, સપ્તઋષિ,સપ્તઋષિ..'
સોંગ વાગે છે ત્યારે આખું ઓડિયન્સ એક તાળી સાથે સૂરમાં સૂર મિલાવે છે.
તાજેતરમાં આવેલી ટોક્સિક ફિલ્મ નેગેટીવીટીથી ભરેલી છે જ્યારે જે હનુમાન અંશ જુવે છે તે પોઝિટિવીટીથી છલકાય છે. બે ફિલ્મો ધુરંધર અને હનુમાન અંશે બોલીવૂડ પર રાજ કરતાં લોકોને હચમચાવી નાખ્યા છે. જે લોકો ભારતની સંસ્કૃતિ વિરૂધ્ધની ફિલ્મો બનાવીને સમાજમાં નેગેટીવ દૂષણો ફેલાવવાનું ષડયંત્ર ચલાવતા હતા એવા લોકો હનુમાન અંશ છાને છૂપે જોઇ આવ્યા છે.
પ્રેક્ષકો જ્યારે ફિલ્મ જોવા અઢી ત્રણ કલાક ફાળવે છે ત્યારે તેના માનસ પર નેગેટિવિટી ઇન્સટોલ થાય છે પરંતુ હનુમાન અંશ જોનારા આધ્યાત્મિક હીલીંગ ઇન્સટોલ થતું અનુભવે છે.
કહે છેકે દેશમાં પોલિટીકલ ક્ષેત્રે આવેલી જાગૃતિ બાદ હવે ફિલ્મોના પ્રેક્ષકોમાં પણ જાગૃતિ આવી છે. દેશને સર્વાંગી જાગૃતિની જરૂર છે. હનુમાન અંશે તેની શરૂઆત કરી છે.




