ધાર-ઉજ્જૈન હાઇવે અકસ્માત: પંચમહાલના 6 મૃતકોની અંતિમયાત્રાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની, આજે કરાયા અંતિમ સંસ્કાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhar Ujjain Highway Accident Panchmahal Youths Death Funeral: ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર 9 ઓગસ્ટના બપોરે 1 વાગ્યાની આસપાસ પંચકવસા ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટનામાં ગુજરાતના પંચમહાલના 6 યુવાનોના મોત નીપજ્યા હતા. યુવકો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ ગત મોડી રાત્રે યુવકોના મૃતદેહને વતન લાવ્યા બાદ આજે સોમવારે (10 ઓગસ્ટ) તમામ મૃતક યુવકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તમામ મૃતક યુવાનોના અંતિમ સંસ્કાર
ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર ભયંકર અકસ્માતમાં પંચમહાલના 6 લોકોના મોત નીપજ્યા હતા. ગત મોડી રાત્રે તમામ મૃતકોના મૃતદેહને વતન લાવવામાં આવ્યા હતા. જ્યારે આજે સોમવારે પંચમહાલમાં યુવકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પરિવારજનો શોકમાં
દુઃખદ વાત એ છે કે, મૃતક રાકેશના લગ્ન હાલ પાંચમા મહિનામાં જ થયા હતા. જ્યારે મૃતક પરેશ તેના મા-બાપનો એકના એક દીકરો હતો અને તેને ત્રણ વર્ષનું સંતાન છે. બીજી તરફ, મૃતક વિશાલ પરમારને પાંચ વર્ષનો છોકરો અને એક ત્રણ વર્ષની છોકરી છે. ગંભીર અકસ્માતમાં યુવાનોના મોતને પગલે પરિવારોમાં શોક છવાયો છે.
ધાર-ઉજ્જૈન હાઇવે ભયંકર અકસ્માતમાં પંચમહાલના 6ના મોત
મધ્યપ્રદેશના બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર ગ્રામ પંચકવાસા પાસે રવિવારે બપોરે સર્જાયેલા એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના 6 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ તમામ યુવકો ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરીને પોતાની ઇકો કાર મારફતે ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઈડથી આવતા ટ્રક સાથે ભયંકર ટક્કર વાગી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર પંચકવાસા પાસે લોખંડનો સામાન ભરેલી એક ટ્રક રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહી હતી. આ દરમિયાન ઉજ્જૈનથી ગુજરાત તરફ જઈ રહેલી કાર સાથે ટ્રકની સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો કારના ફુરચા ઉડી ગયા હતા અને કારમાં સવાર તમામ 6 યુવકો અંદર જ ફસાયા હતા. બે મૃતદેહોને બહાર કાઢવા માટે ગ્રાઈન્ડરનો સહારો લેવો પડયો હતો. ભયાનક અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બદનાવરના પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે સ્થાનિક ગ્રામજનોની મદદથી કારના કાચ તોડી ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માત સજીર્ને ટ્રક ડ્રાઈવર વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને બદનાવર સિવિલ હોસ્પિટલના શબઘરમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતકોના નામ
- મયુર ઉર્ફે મિતેશ પ્રકાશભાઈ ચૌહાણ (ઉં.વ.23, રહે. ગોધરા)
- દિપક મુકેશભાઈ બારિયા (ઉં.વ.26, રહે.અગાલિયા, દેહરા ફળિયા, વડેલાવ, જિ.પંચમહાલ)
- વિમલભાઇ મુકેશભાઇ સોલંકી (ઉં.વ.33, રહે.ગોધરા)
- વિશાલ રમેશભાઈ પરમાર (ઉં.વ.30, રહે.બુરખાલ, તા.શહેરા)
- પરેશ શૈલેશભાઈ બારિયા (ઉં.વ.29, રહે.રતનપુર કાટડી, કાકણપુર)
- રાકેશ ભુપતભાઈ મકવાણા (ઉં.વ.26, રહે.વેલવડ, કાકણપુર)









