ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Budget 2026-27 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ પ્રથમવાર એવું બન્યું છે કે, બજેટમાં ચાબહાર પોર્ટ માટે કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. આમ તો કેન્દ્ર સરકાર દર વર્ષે પોર્ટના પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, જોકે આ વખતે એક પણ રકમ ફાળવવામાં આવી નથી, જેનું કારણ અમેરિકા હોવાનું સામે આવ્યું છે.
ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે એક પણ પૈસો નહીં
છેલ્લા ઘણા સમયથી ભારત માટે અત્યંત મહત્ત્વના ગણાતા ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે આ વખતે બજેટમાં 'શૂન્ય' રકમની ફાળવણી કરવામાં આવી છે. અત્યાર સુધી ભારત આ પ્રોજેક્ટ માટે દર વર્ષે સરેરાશ 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવતું હતું, પરંતુ આ વખતે એક પણ પૈસો ન ફાળવીને સરકારે રક્ષણાત્મક અભિગમ અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
અમેરિકાના કારણે ‘ચાબહાર પોર્ટ’ને કોઈ ફંડ નહીં
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણના કારણે ચાબહાર પોર્ટ માટે કોઈ ફંડ ન ફાળવ્યું હોવાનું સામે આવ્યું છે. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે, જેમાં ભારતને 26 એપ્રિલ સુધી રાહત મળી છે. ટ્રમ્પ તંત્રએ અગાઉ જ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25 ટકા જેટલો વધારાનો ટેરિફ લાદવામાં આવશે. આ આર્થિક નુકસાનથી બચવા અને અમેરિકા સાથેના સંબંધોમાં તણાવ ટાળવા માટે ભારત સરકારે આ નિર્ણય લીધો હોવાનું હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો : સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી... બજેટ 2026ની 15 મોટી વાતો
શું ભારત પ્રોજેક્ટમાંથી પાછળ હટી રહ્યું છે?
સૂત્રો અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત આ પ્રોજેક્ટમાંથી સંપૂર્ણપણે બહાર નીકળવાની તૈયારીમાં હોઈ શકે છે. એવા પણ અહેવાલો છે કે, ભારતે તેની પ્રતિબદ્ધતા મુજબની 120 મિલિયન ડૉલરની રકમ ઈરાનને હસ્તાંતરિત કરી દીધી છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં અમેરિકન નિયમોના ઉલ્લંઘનથી બચવા માટે ભારત આ પોર્ટનું સંચાલન સ્થાનિક ઈરાની કર્મચારીઓ દ્વારા કરાવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ભારત માટે ચાબહારનું મહત્ત્વ
ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સુધી પહોંચવાનો માર્ગ પૂરો પાડે છે. મે 2024માં જ ભારતે આ બંદરના શાહિદ બેહેશ્તી ટર્મિનલના સંચાલન માટે 10 વર્ષનો લાંબાગાળાનો કરાર કર્યો હતો. પરંતુ બદલાયેલી વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં હવે આ પ્રોજેક્ટનું ભવિષ્ય અદ્ધરતાલ દેખાઈ રહ્યું છે.








