Mumbai Airport: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સના બે વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ, આ ઘટના ગ્રાઉન્ડ મુવમેન્ટ દરમિયાન ઘટી હતી. એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ માટે પુશબેક પ્રક્રિયામાં હતું, જ્યારે ઇન્ડિગોનું વિમાન લેન્ડિંગ પછી ટેક્સી કરી રહ્યું હતું. ત્યારે બંને વિમાનની પાંખો એકબીજા સાથે ટકરાઇ હતી. રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં તમામ મુસાફરો હેમખેમ છે.
એર ઈન્ડિયાનું સત્તાવાર નિવેદન
એર ઈન્ડિયા તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઘટનાને ટાંકીને કહ્યું છે કે, '3 ફેબ્રુઆરીના રોજ મુંબઈથી કોઈમ્બતુર જનારી ફ્લાઈટ AI 2732 મોડી પડી, કારણ કે જ્યારે વિમાન ઉડાનની તૈયારી કરી રહ્યું હતું ત્યારે તે ટેક્સી વે પર ઉભેલા અન્ય એરલાઇનના વિમાન સાથે સંપર્કમાં આવી ગયું. બંને વિમાનની પાંખો વચ્ચે ટક્કર થઈ જેથી એર ઈન્ડિયાની પાંખને પણ ક્ષતિ પહોંચી છે. સુરક્ષાના કારણોસર ટેકનિકલ તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે ગ્રાઉન્ડ સ્ટાફ વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યો છે.
આ પણ વાંચો: BREAKING: અરબ સાગરમાં US નેવીએ ઈરાની ડ્રોનને હવામાં તોડી પાડ્યું, તણાવભરી સ્થિતિ
ઈન્ડિગો તરફથી શું કહેવામાં આવ્યું?
સામે પક્ષે ઈન્ડિગો પરથી પણ નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે, હૈદરાબાદથી મુંબઈ આવેલી ફ્લાઈટ 6E 791 વિમાન જ્યારે ટેક્સી કરી રહ્યું હતું તે દરમિયાન અન્ય એર લાઈનના વિમાન સાથે સંપર્કમાં આવી ગયું, તમામ મુસાફરો સુરક્ષિત છે, પાર્કિંગ બાદ તેમણે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. હાલ વિમાનની ટેકનિકલ તપાસ થઈ રહી છે. પ્રોટોકોલ પ્રમાણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે. કેવી રીતે બનાવ બન્યો તેની તપાસ થઈ રહી છે.


