India

કોંગ્રેસને જે વાતનો ડર હતો એ જ કરશે DMK? ચોમાસુ સત્ર પહેલા જ INDIA ગઠબંધનનું ટેન્શન વધ્યું

By GS Team
19 Jul 20263 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્ર પહેલાં મોદી સરકારના પરિસીમન બિલને DMKનું સમર્થન મળતા INDIA ગઠબંધનમાં તણાવ સર્જાયો છે. તમિલનાડુની સત્તાધારી DMKએ સર્વપક્ષીય બેઠકમાં આ બિલને ટેકો આપ્યો હોવાના અહેવાલ છે, જે વિપક્ષી એકતા માટે મોટો ઝટકો છે. જોકે, DMKએ સ્પષ્ટતા કરી કે, તેમની ચિંતા દક્ષિણના રાજ્યોના હિતોનું રક્ષણ છે, જેથી વસ્તી નિયંત્રણમાં સફળ રાજ્યોને અન્યાય ન થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસને જે વાતનો ડર હતો એ જ કરશે DMK? ચોમાસુ સત્ર પહેલા જ INDIA ગઠબંધનનું ટેન્શન વધ્યું

DMK Support For Delimitation Bill Sparks Tension : સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર ફરી એકવાર પરિસીમન બિલ (Delimitation Bill)ને આગળ ધપાવવાની તૈયારીમાં છે. આ દરમિયાન આ બિલને લઈને વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકની અંદર નવી રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલ છે કે, તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે (DMK) એ સર્વદળીય બેઠકમાં આ બિલ પર સરકારના પગલાનું સમર્થન કર્યું છે. જો એવું થશે, તો માત્ર સંસદીય મતવિસ્તારોની સરહદો જ નહીં બદલાય, પરંતુ INDIA ગઠબંધનની અંદરના રાજકીય સમીકરણો પણ બદલાઈ શકે છે.

જો પરિસીમન બિલ પર ડીએમકેનું વલણ આવું જ રહેશે તો, તે વિપક્ષી ઈન્ડિયા બ્લોક માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. સંસદના ચોમાસુ સત્રથી પહેલા પરિસીમન વિધેયકને લઈને દેશના રાજકારણમાં નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. જે મુદ્દા પર અત્યાર સુધી વિપક્ષ સરકારના માર્ગમાં અવરોધ બનીને ઊભો હતો, તેના પર જ INDIA ગઠબંધનની અંદર મતભેદો ઉભરવાના સંકેતો મળવા લાગ્યા છે. રિવોલ્યૂશનરી સોશિયલિસ્ટ પાર્ટી (RSP)ના સાંસદ એનકે પ્રેમચંદ્રનના એક દાવાએ રાજકીય ગલિયારાઓમાં ભારે હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે, સર્વદળીય બેઠક દરમિયાન દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) એ પરિસીમન વિધેયક પર સરકારના પ્રસ્તાવને ટેકો આપ્યો છે.

પ્રેમચંદ્રને એક નિવેદનમાં જણાવ્યું કે, સર્વદળીય બેઠકમાં સરકારે પરિસીમન બિલ પર ચર્ચા કરી અને કમનસીબે DMKએ તેને સમર્થન આપ્યું છે. તેમના આ નિવેદન બાદ વિપક્ષી એકતા પર સવાલો ઉઠવા લાગ્યા છે.

NDA માટે સંજીવની બનશે DMK?

જો ગૃહમાં પણ ડીએમકેનું વલણ આ જ દિશામાં રહેશે તો તે એનડીએ (NDA) માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. બંધારણીય સુધારા સાથે જોડાયેલા આ વિધેયકને પસાર કરાવવા માટે સરકારને બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. અગાઉ સરકાર જરૂરી સમર્થન મેળવી શકી ન હતી, પરંતુ બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે આ વખતે ચિત્ર અલગ હોઈ શકે છે. જો કે, ડીએમકેએ હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા ટીકેએસ ઇલંગોવને કહ્યું કે, સરકાર ઘણા મહત્વપૂર્ણ વિધેયકો લાવવાની તૈયારી કરી રહી છે, અને પરિસીમન પણ તેમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે, વિવિધ પક્ષોએ પોતપોતાના સૂચનો આપ્યા છે, અને હાલમાં અંતિમ મુસદ્દો કેવો આવે છે, તેની રાહ જોવી જોઈએ.

DMK એ જણાવી પોતાની ચિંતા

ઇલંગોવને સ્પષ્ટ કર્યું કે, DMKની સૌથી મોટી ચિંતા દક્ષિણના રાજ્યોના હિતો છે. તેમનું કહેવું છે કે, જે રાજ્યોએ વસ્તી નિયંત્રણમાં સફળતા મેળવી છે, પરિસીમનની નવી વ્યવસ્થામાં તેમની સંસદીય બેઠકો ઓછી ન થવી જોઈએ. તેમણે કહ્યું કે, પાર્ટીએ કોઈ વિધેયકનું સમર્થન કે ભલામણ કરી નથી, પરંતુ તે ચોક્કસપણે ઈચ્છે છે કે, દક્ષિણ ભારત સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય. પરિસીમન વિધેયકને લઈને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પહેલાથી જ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની દલીલ છે કે, વસ્તી નિયંત્રણમાં સારું પ્રદર્શન કરનારા રાજ્યોની બેઠકો ઘટવી ન જોઈએ, જ્યારે વધુ વસ્તી ધરાવતા રાજ્યોને તેનો લાભ મળવો ન જોઈએ.

આ સમગ્ર ઘટનાક્રમને INDIA ગઠબંધનની અંદર બદલાતા રાજકીય સમીકરણો સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યો છે. તાજેતરના દિવસોમાં તમિલનાડુના રાજકારણમાં કોંગ્રેસ અને DMKના સંબંધોમાં આવેલી ખટાશ અને અલગ-અલગ મુદ્દાઓ પર બંને પક્ષોના બદલાતા વલણે પણ આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. હવે સૌની નજર ચોમાસુ સત્ર પર ટકેલી છે. જો પરિસીમન વિધેયક ગૃહમાં રજૂ થશે તો તે માત્ર સંસદીય બેઠકોની સંખ્યાનું જ નહીં, પરંતુ વિપક્ષી એકતા અને NDA ની રણનીતિની પણ મોટી પરીક્ષા સાબિત થઈ શકે છે.